મર્ડર@જામનગર: પૂર્વ પત્ની સાથેના સંબંધ મામલે ભાઈએ જ ભાઈને છરીના ઘા ઝીંકીને ઢીમ ઢાળી દીધું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પત્ની સાથે થયેલા છૂટાછેડા અને બાદમાં પત્નીના અન્ય જગ્યાએ લગ્નને લઈને સગા મામા-ફોઇના ભાઈઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, દિલીપ ચૌહાણને તેની પત્ની સાથે છૂટાછેટા થયા હતા, જે બાદ તેની પત્નીએ જયેશ ચાવડા નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. એ વાતથી દિલીપને મંજૂર ન હોવાથી આજે સાડાઅગિયાર વાગ્યાના અરસામાં દિલીપે છરીના ઘા ઝીંકીને જયેશનું ઢીમ ઢાળી દીધું છે.
આજે સવારે સાડાઅગિયાર વાગ્યાના અરસામાં જયેશ ચાવડા અને તેની પત્ની બાઇક લઇને નીકળ્યાં હતાં. આ દરમિયાન શહેરના 49 રોડ પર આવેલા નહેરુનગર શેરી નંબર 13 પાસે દિલીપે બંનેને રોક્યાં હતાં અને બાદમાં બોલાચાલી શરૂ થઇ હતી.
દિલીપ અને જયેશ વચ્ચે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતાં દિલીપે છરીના આડેધડ ઘા ઝીંકીને જયેશની હત્યા કરી દીધી હતી અને બાદમાં તે ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
મૃતકની પત્ની સોનલબેને જણાવ્યું હતું કે હું પ્રેગ્નન્ટ છું, જેથી અમે મમતા દિવસમાં જતાં હતાં ત્યારે તે સામે ભટકાયો હતો અને તેણે કહ્યું કે તારી ગાડી પાછી વાળ, જેથી અમે ગાડી પાછી વાળી હતી. એમ છતાં છરીના ઘા મારવા લાગ્યો હતો. તે બે લોકો હતા- એક દિલીપ ચૌહાણ અને એની સાથે એક બીજી વ્યક્તિ હતી, જેને હું નથી ઓળખતી.
પોલીસે જયેશના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડ્યો છે અને આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, દિલીપ અને જયેશ સગા મામા-ફોઇના દીકરા ભાઇ થાય છે.
ધોળા દિવસે ખૂની ખેલ ખેલાતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

