તહેવાર@ગુજરાત: પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ધુળેટીના દિવસે ભાવિકોની ભીડ ઊમટી, ગલીએ ગલીએ 'જય રણછોડ'નો નાદ
મંદિરનાં દ્વાર ખૂલતાં જ ભક્તોએ દર્શન માટે દોડ લગાવી
Updated: Mar 14, 2025, 10:32 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ધુળેટીનો તહેવાર છે. સમગ્ર રાજ્યમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે. પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે ધુળેટીના દિવસે હૈયાથી હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ ઊમટી છે. સમગ્ર મંદિર પરિસર "જય રણછોડ માખણ ચોર"ના નાદના ગગનચુંબી જયઘોષથી ગુંજી ઊઠ્યું છે.
વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખૂલતા જ ભક્તોએ ભગવાન તરફ દોડ લગાવી હતી અને મંગળા આરતીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોટાભાગના શ્રદ્ધાળુઓ આગલા દિવસથી જ ડાકોર પહોંચી ગયા હતા. તેઓએ રાતવાસો કરીને વહેલી સવારે મંગળા આરતીનાં દર્શન માટે મંદિરના દ્વાર આગળ લાઈન લગાવી હતી.

