ફેરફાર@ગુજરાત: રાજ્ય સરકારે LRD ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા

શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે. દોડના કોઈ ગુણ રહેશે નહીં.

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ કરવામાં આવ્યુ છે. શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.

પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં હવે ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં પરંતુ કોર્ષના સમયગાળાના આધારે નીચે મુજબ આપવામાં આવશે.

એક વર્ષ માટે 3 ગુણ, બે વર્ષ માટે 5 ગુણ, ત્રણ વર્ષ માટે 8 ગુણ અને ચાર કે તેથી વધુ વર્ષ માટે 10 ગુણ આપવામાં આવશે. આખરી પસંદગી યાદી OBJECTIVE MCQ TEST અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.