ગુનો@ગાંધીનગર: પરિવાર જાતરમાં જતા ઘરમાંથી 3.52 લાખની માલમત્તાની ચોરી કરી આરોપી પલાયન
તસ્કરો ઘરે ચોરી કરી ગયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. પ્રાંતિયા ગામની સીમમાં આવેલા ઉમિયાનગરમાં ગત રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. પરિવાર મકાન બંધ કરીને મોટા બાપુજીના ઘરે માતાજીની જાતરમાં ગયો હતો. જ્યારે અડધી રાત પછી ઘરે આવતા જાળીએ લગાવવામાં આવેલું તાળંુ જોવા મળ્યું ન હતું. જ્યારે ઘરમાં જઇને તપાસ કરતા અંદર મુકવામાં આવેલી 3.52 લાખની માલમત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ બનાવને લઇ ડભોડા પોલીસ મથકમાં ઘરફોડનો ગુનો નોંધાવતા તપાસ હાથ ધરી હતી.
પ્રાંતિયા ગામથી રામપુર જવાના રોડ પર ઉમિયાનગરમાં રહેતા ઉર્વેશભાઇ અશોકભાઇ પટેલ સેક્ટર 28 સરકારી પ્રેસમાં ખાનગી નોકરી કરે છે. ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગત રોજ તેમના મોટા બાપુજીના ઘરે માતાજીની જાતરનો પ્રસંગ હતો. જેથી તેમની માતા સાથે જાતરમાં ગયા હતા, જ્યારે તેમના પિતાજી નોકરીએ ગયા હતા. જ્યારે રાત્રિના સમયે ઘરે આવ્યા ત્યારે દરવાજો ખુલ્લો જોવા મળતો હતો. જેથી ઘરમાં ચોરી થઇ હોવાની શંકા થઇ ગઇ હતી.
જ્યારે ઘરમાં તિજોરી મુકાયેલા રૂમમાં તપાસ કરતા તિજોરીનુ લોક પણ તુટેલુ હતુ. જેથી પોલીસ કંટ્રોલમાં ફોન કર્યા બાદ પોલીસ આવતા તપાસ કરતા રોકડા 1.50 લાખ, એક જોડ સોનાની કાનની સેર, અડધા તોલાની વીંટી, બે જોડ ચાંદીની પાયલ, બે જોડ ચાંદીના છડા, તે ઉપરાંત ચુંટણી કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, એટીએમ કાર્ડ અને બે પાસપોર્ટ સહિત 3.52 લાખની માલમતાની ચોરી ઘરફોડિયા પલાયન થઇ ગયા હતા. જેને લઇ ડભોડા પોલીસમાં ગુનો નોંધાયો હતો.