ચૂંટણી@અમદાવાદ: ચાંદખેડા વોર્ડની ચૂંટણીમાં ભાઈ-બહેન આમને-સામને, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ આ વખતે સૌથી રસપ્રદ ચૂંટણી ચાંદખેડા વોર્ડમાં થવાની છે. જ્યાં રાજકીય લડત હવે માત્ર પાર્ટીઓ વચ્ચે સીમિત રહી નથી પરંતુ એક જ પરિવારની અંદર સીધી ટક્કર સર્જાઈ રહી છે. પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને કોંગ્રેસે ફરી ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તો બીજી તરફ ભાજપે તેમના જ કૌટુંબિક ભાઈ યશ જાદવને ટિકિટ આપી છે. જેથી હવે પેનલ જીતાડવા માટે કૌટુંબિક ભાઈ અને બહેન એક બીજાને હરાવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
કોંગ્રેસ દ્વારા પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને ફરી એક વખત ચૂંટણી લડવા માટે ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે, તેમજ પેનલ પણ ઉતારવામાં આવી છે. બીજી તરફ ભાજપે દાવ ખેલી રાજશ્રીબેનના કૌટુંબિક ભાઈ યશ જાદવને ટિકિટ આપી સીધી ટક્કર ઊભી કરી છે. જેના કારણે ચાંદખેડાની ચૂંટણી હવે રાજકીય કરતા વધુ પારિવારિક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. રાજશ્રી કેસરી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા સાથે અનુભવની પણ કસોટી છે. પૂર્વ કોર્પોરેટર તરીકે તેમણે વિસ્તારમાં વિકાસના અનેક કામો કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેના આધાર પર મતદારોનો વિશ્વાસ જીતવાની કોશિશ કરી રહ્યા છે.
રાજશ્રીબેન કેસરી સાથે પેનલ પણ વિસ્તારમાં મતદારોને આકર્ષવા માટે પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ભાજપના ઉમેદવાર યશ જાદવ નવા ચહેરા તરીકે મેદાને આવ્યા છે. યશ જાદવ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે, અગાઉ તેમના પિતા ચૂંટણી લડ્યા હતા. જો કે હવે પેનલને જીતાડવા માટે બંને ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. એક તરફ રાજશ્રીબેન કેસરી પેનલને જીતાડવા માટે ભાઇને હરાવવાની માટેની રણનીતિ બનાવી રહ્યા છે તો બીજી તરફ યશ જાદવ ભાજપની પેનલ જીતે તે માટે બહેનને હરાવવા મેદાને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
જો કે અત્યારથી જ પારિવારિક સંબંધ હોવાના કારણે રાજકીય ગરમાવો વધારે જોવા મળી રહ્યો છે. યશ જાદવ દ્વારા પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસ ઉમેદવાર રાજશ્રીબેન કેસરી પર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે. રાજશ્રીબેન ભલે પૂર્વ કોર્પોરેટર હોય પરંતુ તેમને મતદારોને રિઝવવા માટે ભાજપે કરેલા વિકાસ જ ગણાવવા પડી રહ્યા હોવાનો યશ જાદવે દાવો કર્યો છે. તો બીજી તરફ રાજશ્રીબેન કેસરીએ પણ દાવો કર્યો છે 10 વર્ષમાં જનતા માટે અનેક મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવ્યો છે જેથી મતદારો તેમની પેનલને જ પસંદ કરશે.
ભાજપના ઉમેદવાર યશ જાદવે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ તમામ લોકોના વિકાસની વાત કરી છે. અમે માત્ર વિકાસના કામને લઈને જ પ્રચાર કરીએ છીએ. સમાજની સેવામાં કામ કરી છીએ અને જરૂરિયાતમંદ લોકોની યોજના બનાવી રહ્યા છીએ. ચાંદખેડામાં તમામ જગ્યાએ રોડ રસ્તા બની ગયા છે. હવે જરૂરિયાત ચાંદખેડાને મોડલ બનાવવાની છે. દરેક વોર્ડમાં સરકારી શાળાઓ અને સ્માર્ટ શાળાઓ બનાવી છે. અમદાવાદમાં જ્યારે જ્યારે ચૂંટણીનો પ્રચાર કરવામાં આવે ત્યારે ચાંદખેડાના કામનું લિસ્ટ સૌથી વધુ હોય તેવું કામ કરીશું.
વધુમાં યશ જાદવે જણાવ્યું હતું કે, અમારા કૌટુંબિક બહેન રાજશ્રીબેન 10 વર્ષથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસમાંથી કૌટુંબિક બહેન ઉમેદવાર છે પરંતુ સમાજની સેવાની વાત આવે ત્યારે સંબંધની વાત આવતી નથી. રાજકારણમાં હંમેશા જનતા જ દેખાય છે કોઈ કૌટુંબિક બહેન હોતી નથી કે કોઈ ભાઈ હોતો નથી. જનતાનું કામ કેટલું બાકી છે તે જોઈને જ અમે પ્રચાર કરીએ છીએ. અત્યારે અમે સેવાનો રથ લઈને નીકળ્યા છીએ જેથી અમે ચાંદખેડાની જનતાને જોઈએ છીએ બીજું કંઈ જોતા નથી. ચાંદખેડામાં અમે કરેલા વિકાસના કામ તે લોકોને ગણાવવા પડે છે. ચૂંટણીમાં સંઘર્ષ તેમને રહેવાનો છે. ચાંદખેડામાં કામ ગણાવવા માટે પણ તેમને ભાજપના પૂર્વ કોર્પોરેટરે કરેલા કામ ગણાવવા પડે છે જેથી સમજી શકાય છે કે સંઘર્ષ કોને થઈ રહ્યો છે. તેમજ લોકોને એ લાગણી છે કે સ્થાનિક ઉમેદવાર જ જીતવો જોઈએ.
ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રીબેન કેસરીએ જણાવ્યું હતું કે, ચાંદખેડામાં મુખ્ય પાયાની જરૂરિયાત છે. જેથી રોડ, રસ્તા અને ગટરની સમસ્યાઓને લઈને ચાલી રહ્યા છીએ. ગટર ઉભરાય ત્યાં સાફ-સફાઈ કરાવવી પડે, પાણી નથી પહોંચતું તો પાણી પહોંચાડવાની જવાબદારી અમારી છે. ગઈ વખતે પાંચ પાણીની ટાંકી બનાવી છે. ફરી 2026માં અમારા પ્રશ્નો લઈને ચાલી રહ્યા છીએ. 2010માં પણ અમે લોકો સામસામે ચૂંટણી લડ્યા હતા અને 2026માં પણ સાથે લડીશું. અમારો કોઈ કૌટુંબિક ઝઘડો નથી. યશ ભાજપ માટે લડી રહ્યો છે અમે હું કોંગ્રેસ માટે લડી રહી છું.
વધુમાં રાજશ્રીબેન કેસરીએ જણાવ્યું હતું કે, મારા માટે તે મારો ભાઈ નથી પરંતુ તે ભારતીય જનતા પાર્ટીનો એક ઉમેદવાર છે, અને હું કોંગ્રેસની ઉમેદવાર છું જેથી અમે તે રીતે જ ચૂંટણી લડીશું. કોંગ્રેસ જ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ લાવી હતી. એક એક કાગળ કરીને મેં વિગતો કાઢીને કામ કર્યા છે. જો એક એક કાગળ ન હોય તો હું પ્રચાર પાછો ખેંચી લઈશ. અર્બન હેલ્થ સેન્ટર હોય, પાણીની ટાંકી હોય, લાયબ્રેરી હોય કે બગીચા હોય તે તમામ જરૂરિયાત માટે 10 વર્ષમાં અમે જ અવાજ ઉઠાવ્યો છે. બાકી ભાજપના ઉમેદવારો માત્ર આંગળી ઊંચી કરવા માટે જ ઊભા થાય છે અને મૂંગા ચૂપ થઈને બેસી રહેતા હોય છે.

