કાર્યવાહી@વલસાડ: ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેની રિટના અરજદારને HCનો 10 હજારનો દંડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વલસાડ જિલ્લાના બડેલી,જગાલા ગામોમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના કથિત આક્ષેપ સાથે થયેલી જાહેરહિતની અરજી રદ કરતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માયીની ખંડપીઠે અરજદારને રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. અરજદાર તરફથી હાજર એડવોકેટની દલીલોથી અસંતુષ્ટ ચીફ જસ્ટિસે વધુ કોઇ દલીલ નહીં કરવા અને કોર્ટનો કિંમતી સમય ન વેડફવા તાકીદ કરી હતી, અન્યથા દંડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
તેમ છતાંય એડવોકેટે દલીલ કરતાં રૂ. ૧૦ હજાર લીગલ ઓથોરિટીમાં જમા કરાવી દેવાનો આદેશ કર્યો છે.
હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,'આ જાહેરહિતની અરજીમાં અરજદાર કે જે વલસાડના બડેલી જગાલા ગામના રહેવાસી છે. તેમણે ગેરકાયદે વિકાસ કામોમાં ગામમાં થતાં હોવાના આક્ષેપ કર્યા છે. સમગ્ર રિટ માત્ર RTIના આધારે ઊભી કરાઈ છે. 2014-21 સુધીના પ્રોજેક્ટ્સની માહિતી તેમણે માગી હતી અને તેમાં માહિતી આપવામાં આવી હતી. વિકાસ કામોના કમ્પ્લિશન સર્ટિફિકેટ, ખર્ચ સહિતની માહિતી આપવામાં આવી હતી. જેમાં 24 પ્રોજેક્ટના 27 લાખના ખર્ચની વિગતો અપાઇ હતી. અહીં 60 પ્રોજેક્ટના 54 લાખના વિકાસ કામો થવા જોઇતા હતા. જોકે 34 પ્રોજેક્ટ્સની વિગતો અપાઇ નહોતી.
રિટમાં એવા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ફેક સર્ટિફિકેટ્સ અપાયા છે અને કામો કરાયા નથી. જોકે આ પ્રકારની અરજીઓ હાઇકોર્ટ એન્ટરટેઇન કરી શકાય નહીં. અરજદાર જરૂરી માહિતી સંદર્ભે અરજી કરી શકે અથવા અન્ય ઓથોરિટીમાં તકરાર નોંધાવી શકે. જાહેરહિતની અરજીનો આ મુદ્દો નથી.'