ઘટના@અમદાવાદ: યુવતીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી, જાણો ક્યાં કારણે આવું પગલું ભર્યું ?
![આપઘાત@સુરત: પિતાએ મોબાઈલ લઇ લેતાં 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું](https://atalsamachar.com/static/c1e/client/91782/migrated/3efba3f685a2c9f6f13b30819efda550.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વટવા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પ્રેમલગ્ન કર્યા હોવાથી પરિવારે તે સમયે કોઇ જ વ્યવહાર કર્યો ન હતો. જેથી વાસી ઉત્તરાયણે પરિવાર દીકરીના ઘરે ગયો હતો અને વ્યવહાર કરી પરત ફર્યો હતો. તે જ દિવસે દીકરીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. આ મામલે વટવા પોલીસ મથકમાં પતિ સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં પતિ પગારના રૂપિયા લઈ લેતો અને અવારનવાર પૈસાની માગણી કરીને તેને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો.
એટલું જ નહીં, દારૂ પીવાની ટેવવાળો હોવાથી પરિણીતા સાથે અવારનવાર તકરાર પણ કરતો હોવાનો આક્ષેપ કરાયો છે.
ઇસનપુર વિસ્તારમાં રહેતી સંજના લોધાની સગાઇ જીતેશ મગનભાઇ લોધા સાથે વર્ષ 2022માં થઇ હતી. બીજી તરફ 2023માં સંજના અને જીતેશે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને દરિયાપુર ખાતે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન સંજના મણિનગરમાં કમ્પ્યૂટર વર્કની નોકરી કરતી હતી. સંજના પિતાના ઘરે જાય ત્યારે પતિ પૈસાની માગણી કરતો હતો અને દારૂ પીવાની ટેવ હોવાને કારણે સંજના સાથે લગ્નના થોડા જ દિવસોમાં તે ઝઘડો કરવા લાગ્યો હતો. આ અંગે સંજના પિતા વસંતભાઇને જાણ કરતી હતી. પરંતુ દીકરીનો ઘર સંસાર ન તૂટે માટે પિતા તેને સમજાવી ઘરે મોકલી દેતા હતા. આ દરમિયાન થોડા સમય પહેલાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા મામલો દરિયાપુર પોલીસ મથક પહોંચ્યો હતો. જો કે, ત્યાં જીતેશે ફરી આવું નહીં કરે અને સારી રીતે રાખવાની બાંહેધરી આપતા પોલીસ કેસ કરવામાં આવ્યો ન હતો.
થોડા દિવસો પહેલાં જીતેશ અને સંજના વટવા વિસ્તારમાં રહેવા જતા રહ્યાં હતા. જ્યાં પણ જીતેશ સંજનાને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. બન્નેએ પ્રેમલગ્ન કર્યા હોવાથી પરિવારે કોઇ વ્યવહાર કર્યો ન હતો. જેથી 15મીના રોજ સંજનાનો પરિવાર જીતેશના ઘરે ગયો હતો અને વ્યવહાર પતાવી બપોરે એક વાગ્યે ઘરે આવી ગયા હતા. પરંતુ સંજનાએ તે સમયે કંઇ જ કહ્યું ન હતું. જો કે, બપોરે ચાર વાગ્યે જમાઇ જીતેશે સસરાને ફોન કરી જણાવ્યું હતું કે, સંજના આંખો ખોલતી નથી તમે જલદી આવો. જેથી પિતા તાત્કાલીક ત્યાં પહોંચ્યા હતા. ત્યારે 108 ઊભી હતી અને સંજનાને લઇ ત્યાંથી એલજી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સંજનાને તબીબે મૃત જાહેર કરી હતી. આ દરમિયાન સંજનાના પિતાને જાણવા મળ્યું હતું કે, સંજનાએ ગળે ફાંસો ખાઇ લીધો હતો. જેથી આ મામલે સસરા વસંતભાઇએ જમાઇ જીતેશ સામે આત્મહત્યા માટે દુષપ્રેરણાની ફરિયાદ વટવા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.