ઘટના@ગાંધીનગર: યુવકે પત્ની અને સાસરીયોના ત્રાસથી કાંટાળી કેનાલમાં મોતની છલાંગ લગાવી

મૃતકના નાના ભાઈએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં પત્ની, સાસુ, બે સાળીઓ અને બે સાળાઓ વિરુદ્ધ આત્મહત્યાની ફરિયાદ નોંધાવી છે.
 
ઘટના@ગાંધીનગર: યુવકે પોતાના જ ભાઈને વીડિયો કોલ કરી આપવીતી જણાવી કેનાલમાં મોતની છલાંગ લગાવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગાંધીનગરમાંથી હૃદય કંપાવી ઊઠે એવી આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં સાસરી પક્ષના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક 42 વર્ષીય યુવકે પોતાના જ ભાઈને વીડિયો કોલ કરી આપવીતી જણાવી કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ મામલે મૃતકના નાના ભાઈએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં પત્ની, સાસુ, બે સાળીઓ અને બે સાળાઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગતો મુજબ, મૂળ વિસનગરના રાલીસણા ગામના વતની અને હાલ અમદાવાદના ચેનપુર વિસ્તારમાં રહેતા રાહુલભાઈ દલપતભાઈ રાવતે તેમના મોટા ભાઈ લક્ષ્મણભાઈ પરમારના મોતના મામલે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ લક્ષ્મણભાઈના લગ્ન વર્ષ 2011માં રાલીસણા ગામની જ સુમિત્રાબેન સાથે થયા હતા. લગ્ન બાદ થોડો સમય બધું બરાબર ચાલ્યું હતું. પરંતુ ત્યારબાદ સુમિત્રાબેન નાની-નાની બાબતોમાં ઝઘડા કરી અલગ રહેવા માટે દબાણ કરતા હતા. પત્નીની જીદને કારણે લક્ષ્મણભાઈ છેલ્લા 5 વર્ષથી ઘર છોડીને રાલીસણા ખાતે પોતાની સાસરીમાં જ રહેવા ગયા હતા.

લક્ષ્મણભાઈ જ્યારે પણ પોતાના વતનના પરિવાર કે ભાઈઓને મળતા ત્યારે પોતાની વ્યથા ઠાલવતા હતા. તેમણે પરિવારને જણાવ્યું હતું કે, સાસરીમાં રહેવા છતાં પત્ની સુમિત્રાબેન અને સાસુ નર્મદાબેન તેમને શાંતિથી રહેવા દેતા નથી. અવારનવાર પૈસાની માંગણી કરી તેમને હેરાન કરવામાં આવતા હતા. જો તેઓ પૈસા ન આપે તો તેમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા.

ગત તારીખ 23 ડિસેમ્બર, 2025ના રોજ આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. લક્ષ્મણભાઈએ સવારે તેમના ભાઈને ફોન કરીને રડતા-રડતા જણાવ્યું હતું કે, પત્ની અને સાસુએ પૈસા માટે ઝઘડો કર્યો છે. ફક્ત એટલું જ નહીં સાસરી પક્ષે તેમની સાળીઓ ઉર્મિલાબેન અને ગીતાબેન તેમજ રાજગઢથી બે કુટુંબી સાળાઓને બોલાવીને લક્ષ્મણભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો.

સાસરિયાઓએ ધમકી આપી હતી કે, જો તું પૈસા નહીં આપે તો તને તારા બાળકો પણ જોવા નહીં દઈએ. આ શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતા લક્ષ્મણભાઈ રાત્રિના સમયે અડાલજ નજીક ઝુંડાલ કેનાલ પાસે પહોંચ્યા હતા. તેમણે ત્યાંથી પોતાના ભાઈને વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલમાં તેમણે કરુણતા સાથે જણાવ્યું હતું કે, હું હવે થાકી ગયો છું, મારા સાસુ અને પત્ની મને જીવવા દેતા નથી. હું આ ડગલું ભરી રહ્યો છું, મારા બાળકોને તમે સાચવજો.

પરિવારજનો તેમને શોધવા માટે કેનાલ દોડી ગયા હતા. દરમ્યાન રાત્રિના અંધકારમાં મોબાઇલની લાઇટ દૂરથી દેખાઈ રહી હતી. પરંતુ પરિવારજનો મોબાઇલ લાઈટના અજવાળા તરફ પહોંચ્યા જ હતા ને લક્ષ્મણભાઈએ મોતની છલાંગ લગાવી દીધી હતી. જેમની લાશ સાંતેજ પોલીસ મથકની હદમાંથી મળી આવી હતી. આ ઘટના બાદ મૃતકના ભાઈની ફરિયાદને આધારે સાંતેજ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે પત્ની સુમિત્રાબેન, સાસુ નર્મદાબેન, સાળી ઉર્મિલાબેન, સાળી ગીતાબેન અને રાજગઢના બે કુટુંબી સાળાઓ સહિત કુલ 6 શખ્સો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ ઝીરો નંબરથી ગુનો દાખલ કરી વધુ તપાસ વિસનગર પોલીસ તરફે મોકલી આપી છે.