ઘટના@વલસાડ: જનેતાએ 3 માસૂમો સાથે ઝેર ગટગટાવ્યું, બાળકોનાં મોત, માતા ગંભીર, કયા કારણે આવું પગલું ભર્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક કાળજું કંપાવી દેનારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. ઘરેલુ કલહના કારણે સર્જાયેલા વિખવાદ બાદ એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક આશંકા મુજબ, કૌટુંબિક ઝઘડા બાદ માસૂમોને કોઈ ઝેરી પદાર્થ પીવડાવવામાં આવ્યો હતો, જેના કારણે 3 વર્ષની બાળકી નાયરા તેમજ માત્ર 7 મહિનાના બે જોડિયા બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જ્યારે બાળકોની માતા નિશાબેન હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘાતકી અને સનસનાટીભરી ઘટનાને પગલે આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે, ત્યારે ભીલાડ પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે અને બાળકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ કરુણ મોતના સાચા કારણનો સત્તાવાર ખુલાસો થશે.
હાલતો આપાઘાતનો પ્રયાસ કરનાર મહિલાના સાસુએ જણાવેલી વિગત મુજબ વાત કરીએ તો તેમણે કહ્યું કે, એ મારા છોકરાની વહુ છે, તે તેના મમ્મીના ઘરે રહેતી હતી. એને કોઈ સાથે અફેર ચાલતું હતું એવી મારા દીકરાને ખબર પડી એટલે મારા દીકરાએ ઠપકો આપ્યો અને તેને છોકરાઓને અહીં મૂકી તેના મમ્મી પપ્પાને ઘરે જતા રહેવાનું કહ્યું..તો રીસમાં આવીને મારા દીકરાની વહુએ તેના ત્રણેય છોકરાઓને શું ખવડાવી દીધું કંઈ ખબર ન પડી...એ તો અમે સવારે, જાગ્યા ત્યારે ખબર પડી, રાતના તો અમને શું ખબર પડે? બાર વાગ્યા લગીન તો અમે ઓસરીમાં હતા. પછી અમે અને એ લોકો સુઈ ગયા, અમારા રૂમમાં અને દરવાજો બંધ અને પંખા ચાલુ એટલે કંઈ સંભળાયું નહીં. સવારે મારો છોકરો ઉઠ્યો પણ, છોકરા ઉઠ્યા નહીં...અને પેલી ઉઠીને બહાર ફર્યા તેણે શું કર્યું...શું પીવડાવેલું, કઈ રીતે માર્યા, એ અમને જરાય નથી ખબર એમ,મારા છોકરાને પણ ખબર નથી

