ગુનો@રાજકોટ: ગેરેજમાંથી પૈસાની ચોરી કરનાર ઇસમને પોલીસે દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પોપટપરા મેઈન રોડ પર આવેલ ગેરેજમાંથી ચોરી કરનાર નામચીમ દશરથ ઉર્ફે દસ્તોને એલસીબી ઝોન-2 ની ટીમે ગણતરીની કલાકોમાં દબોચી લઈ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. બનાવ અંગે રેલનગરમાં આવેલ ક્રિષ્નાપાર્ક શેરીમાં રહેતાં નીલેશભાઈ ધીરૂભાઈ ઘાડીયા પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓને પોપટપરા મેઇન રોડ પર પોસ્ટ ઓફિસની સામે બાપા સીતારામ ઓટો ગેરેજ નામની દુકાન ચલાવે છે.
ગઇ તા 29/08/2023 ના તેઓએ તેના બાપુજી સાથે આવી દુકાન ખોલેલ હતી અને વાહનો રીપેરીંગ કરી ગ્રાહકે આપેલ પૈસા ટેબલના ખાનામા મુકી દેતા હતાં. સાંજના છએક વાગ્યે દુકાન બંધ કરતી વખતે આખા દિવસના રાખેલા પૈસા ટેબલના ખાનામાં જોવામા આવેલ નહી. આજુબાજુમા તપાસ કેરતા પૈસા મળી આવેલ નહી. ખાનામાં ગ્રાહકોની લેતીદેતીના પૈસાનો હિસાબ કરતા ખબર પડેલ કે,
આશરે નવેક હજાર રૂપીયાની રૂપીયા હોઇ જે કોઇ અજાણ્યો શખ્સ ગેરેજમાં આવી ચોરી કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે પ્ર. નગર પોલીસ મથકમાં ગુનો નોંધાતા એલસીબી ઝોન-2 ની ટીમના પીએસઆઇ આર.એચ.ઝાલા અને તેની ટીમના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જેન્તીગીરી ગોસ્વામીએ સીસીટીવી ફૂટેજ અને હ્યુમમ સોર્સથી તપાસ હાથ ધરી મળેલ ચોક્કસ બાતમીના આધારે ઘરફોડ ચોરી કરવામાં પંકાયેલા દશરથ ઉર્ફે દસ્તો ગભૂ જોગરણા ને દબોચી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.