મર્ડર@વડોદરા: લગ્નના થોડાક મહિનામાં જ પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરતા ભારે ચકચાર મચી

બનાવ બાદ ફરાર થઈ ગયેલા પતિની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરા શહેરમાંથી હદય કંપાવી ઊઠે એવી મર્ડરની ઘટના સામે આવી છે.વડોદરાના ધોળાકુવા ગામમાં દોઢ મહિના પહેલા સુખી દાંપત્યજીવનના સપનાંઓ સજી સાસરે ગયેલી પરિણીતાની પતિ દ્વારા ગળું દબાવી હત્યા નીપજાવી દેવાતા ચકચાર મચી છે. યુવકે પોતાના સાળાને ફોન કરી કહ્યું હતું કે, 'અમારી લાશો લઈ જજો'. પિયર પક્ષના લોકોને શંકા જતા દીકરીના ઘરે દોડી ગયા હતા. જ્યાં દીકરી બેભાન હાલતમાં મળતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મૃત જાહેર કરાતા પરિવારને શંકા પડી હતી. મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવતા ગળું દબાવી હત્યા નિપજાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. બનાવ બાદ ફરાર થઈ ગયેલા પતિની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ ગામમાં રહેતા જયદીપભાઈ ભુપેન્દ્રભાઈ સોલંકીએ વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ જયદીપની બહેનના 12 માર્ચના રોજ લગ્ન ધોળાકુવા ગામમાં રહેતા હર્ષદ ગોહિલ સાથે થયા હતા. 2 એપ્રિલના રોજ જયદીપભાઈ પોતાના ઘરે હતા, ત્યારે તેમના બનેવી હર્ષદ ગોહિલનો ફોન આવ્યો હતો. ફોન પર હર્ષદ ગોહિલે કહ્યું હતું કે, અમારી લાશો લઈ જજો, તેમ કહીને અચાનક ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ જયદીપભાઈએ વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. શંકા થતાં તેમણે અન્ય સગા જીતેન્દ્રકુમારને જાણ કરી હતી.

થોડીવાર બાદ જીતેન્દ્રકુમારે જયદીપને ફોન કરીને કહ્યું હતું કે, તેજલને ગભરામણ થતાં તેમને વાસદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા છે. આ જાણ થતાં જયદીપભાઈ તેમના પિતા સાથે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં પહોંચતાં તેજલને બેડ પર સુવડાવેલી હાલતમાં જોવા મળ્યા હતા અને તેમના ગળામાં ઈજાના નિશાન દેખાયા હતા. ડૉક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટરોએ ગળું દબાવવાથી મોત થયાનું પ્રાથમિક કારણ જણાવ્યું હતું.

હર્ષદ ગોહીલ તેજલબેન પર ખોટા વહેમ રાખીને તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા, તેવી વાત અગાઉ પણ પરિવારજનોને જણાવી હતી. આ બનાવ અંગે હર્ષદ ગોહિલ સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી પોલીસ થી બચવા માટે ફાજલપુરના કોતરોમાં છુપાઈ ગયો હતો. નંદેસરી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી હર્ષદ ગોહિલની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ધાબા પરથી કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જોકે તેને સામાન્ય ઇજા પહોંચી હતી, જોકે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે, યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો કે, માત્ર નાટક કર્યું હતું.