રાજકારણ@ગુજરાત: વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ આક્રમક, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ છે. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ છે અને પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે. ત્યારે સત્ર શરૂ થાય તે પહેલા શાસક પક્ષ ભાજપ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્યો સત્ર શરૂ થાય તે પહેલા જ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પણ બેસી ગયા છે. જેમાં ધારાસભ્ય અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી, કિરીટ પટેલ, તુષાર ચૌધરી, વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલા જોડાયા છે. ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે. જેમાં બેનરો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા છે.
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પાકના નુકસાન અને દુષ્કાળના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સહિતના ધારાસભ્યો ઘાસના પૂડા તેમજ ખેતરમાં સુકાયેલા અને સડેલા પાક સાથે વિધાનસભા તરફ જવા નીકળ્યા હતા. જોકે, પોલીસે તેમને વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા હતા. વિધાનસભાના પગથિયાં પર દુષ્કાળની માગ સાથે વિરોધ કરવા જતા AAP નેતાઓને પણ પોલીસે રોક્યા હતા.
આજે 9 સપ્ટેમ્બરે સત્રના પ્રશ્નોત્તરી દરમિયાન વિવિધ વિભાગોને લગતા ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ સરકાર તરફથી આપવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, જેમાં પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય યોગેશ પટેલ, મોહનસિંહ રાઠવા સહિત પાંચ દિવંગત સભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. શોક પ્રસ્તાવ બાદ ગૃહની કામગીરી મુલતવી રાખવામાં આવશે.
ગુજરાતમાં હવે કોઇપણ દુકાન, મોલ, રેસ્ટોરન્ટ-હોટલ-કાફે કે અન્ય દુકાનો, ગેરેજ, શોરૂમ સહિતના વ્યાવસાયિક એકમ 24 કલાક ચાલું રાખી શકાશે. પોલીસ કે અન્ય સ્થાનિક ઓથોરિટી આવીને તેને કોઈ રીતે બંધ કરાવી શકશે નહીં. અલબત્ત આ એકમોએ પોતાની આસપાસ સ્વચ્છતા, ટ્રાફિક અને સલામતી સંદર્ભે ચોકસાઇ રાખવાની રહેશે. સરકાર ચોમાસું સત્રમાં વિધેયક લાવીને ગુમાસ્તા ધારા વિષયક કાયદામાં સુધારો કરવા જઈ રહી છે.
મહાનગર પાલિકાઓ, હોસ્પિટલો, નેશનલ હાઇવે પરના એકમો, રેલવે સ્ટેશનો, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ હતી. નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના એકમો 2થી સવારે 6 અને બાકીના વિસ્તારોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી દુકાન બંધ રાખવાની જોગવાઈ હતી. તેમાં હવે સંપૂર્ણ મુક્તિ અપાઇ છે. જોકે કામદારોના રજા સહિતના હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે. ગુમાસ્તા ધારામાં હવે નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણીની અરજીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવામાં આવી છે.
સત્ર શરૂ થાય તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ત્રણ દિવસ ચાલનારા સત્ર દરમિયાન સરકારી બિલોની સાથે પ્રજાના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સત્રમાં ખૂબ સારી રીતે ચર્ચાઓ થાય તે માટે સરકાર સંપૂર્ણપણે તૈયાર છે અને ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવતા તમામ પ્રશ્નોના જવાબ આપવા સરકાર તત્પર છે. દરેક ધારાસભ્ય માટે પોતાના મતવિસ્તારની પ્રજાના પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરવા અને તેના પર ચર્ચા કરવાની આ એક સારી તક છે.
સત્રના પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી કાળમાં સામાન્ય વહીવટ, તાલીમ, મહેસૂલ, નર્મદા, જળ સંપતિ, ઊર્જા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગને લગતા પ્રશ્નો પર ચર્ચા થશે. આ ઉપરાંત માર્ગ અને મકાન, કલ્પસર અને પાટનગર યોજના વિભાગને લગતા પ્રશ્નો પણ પ્રશ્નોત્તરીમાં લેવામાં આવશે. ધારાસભ્યો દ્વારા વિવિધ મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ સંબંધિત વિભાગના મંત્રીઓ આપશે.
સરકારી સેવા કે ફરિયાદના નિકાલની માહિતી હવે નાગરિકને SMS કે ડિજિટલ માધ્યમથી લેખિતમાં આપવામાં આવશે. અધિકારી નિયત સમયમર્યાદામાં ફરિયાદનો નિકાલ ન કરે, તો અરજી આપોઆપ અપીલ તરીકે ટ્રાન્સફર થઈ જશે. નાગરિકે ફરીથી ધક્કા ખાવા નહીં પડે.
ફાયર સેફ્ટી માટે હવે કેન્દ્રના ‘નેશનલ બિલ્ડિંગ કોડ’ના નિયમો પાળવાની જરૂર નહીં રહે, માત્ર ગુજરાતના સ્થાનિક કાયદા અને બિલ્ડિંગ બાય-લોઝ જ લાગુ પડશે. આ સુધારાથી નિયમોની ગુંચવણ દૂર થશે અને બિલ્ડરો કે મકાનમાલિકો માટે ફાયર NOC મેળવવાનું સરળ બનશે.
બીજા રાજ્યના ડૉક્ટરોએ હવે ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા માટે કોઈ પૂર્વ-મંજૂરી કે વધારાની ફી આપવી પડશે નહીં. ડૉક્ટરે માત્ર પોતે માન્ય ડિગ્રી ધરાવે છે તેવું પોતાની સહીવાળું એકરારનામું એટલે કે Self-Declaration આપવાનું રહેશે અને તેમનું નામ રજિસ્ટરમાં નોંધાઈ જશે. જો કે આ રજિસ્ટ્રેશન કરાવવા માટે સ્થાનિક મેડિકલ કાઉન્સિલ અન્ય તમામ નિયમોનું પાલન ચોક્કસપણે કરાવશે. આ માટે સરકાર મેડિકલ કાઉન્સિલ એક્ટમાં સુધારો લાવશે.
ગુજરાત સરકાર વિધેયક દ્વારા ‘ટુકડા જમીન ધારા-1947’માં મહત્વનો સુધારો કરવા જઇ રહી છે. અગાઉ શહેરી વિસ્તારોમાં જમીનોનું વારસદારોમાં વિભાજન થવાથી થયેલાં ટુકડાંમાં બિનખેતી પ્રક્રિયા થઇ શકતી ન હતી. આ મુશ્કેલી વટહુકમ દ્વારા દૂર કરાઇ પણ હવે તે કાયદા સ્વરૂપે દીર્ઘજીવી બનશે. નવા સુધારા અનુસાર 29 જાન્યુઆરી 1948થી 31 માર્ચ 2026 સુધી કાયદા વિરૂદ્ધ થયેલા જમીનના વિભાજન કે ટ્રાન્સફરના વ્યવહારોને હવે કોઈપણ દંડ કે પ્રીમિયમ વિના આપોઆપ નિયમિત ગણવામાં આવશે. શહેરીકરણ અને ઝોનિંગને કારણે બિન-ખેતી (NA) મંજૂરી અટકેલી હોય તેવા લાખો ખાતેદારોને આ નિર્ણયથી મોટી રાહત મળશે. અદાલતો કે અધિકારીઓ સમક્ષ ચાલતા આ સંબંધી કેસો રદ થશે. ઉપરાંત, સરકારને સ્થાનિક સ્તરે ‘માનક વિસ્તાર’ (Standard Area) નક્કી કરવાની નવી સત્તા પણ આપવામાં આવી છે.
ચોક્કસ શરતો પૂરી થતી હોય તેવા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના આધારે મ્યુટેશન એન્ટ્રી એ જ દિવસે નોંધાવીને પ્રમાણિત કરી શકાશે. હિત ધરાવતા લોકોને નોટિસ આપી વાંધા રજૂ કરવાની તક આપવાની પ્રણાલીના કારણે કેટલીક વખત નામ ચઢાવવાની પ્રક્રિયામાં વિલંબ થતો હતો. અગાઉ આ અંગે સરકારે બહાર પાડેલા વટહુકમને કાયમી કાયદાકીય સ્વરૂપ આપવા માટે સરકાર વિધેયક લાવશે. નવી જોગવાઈનો લાભ લેવા માટે 3 શરતો ફરજિયાત રહેશે. પ્રથમ, વેચાણ દસ્તાવેજની તારીખ પહેલાં ઓછામાં ઓછા 1 વર્ષથી રેકોર્ડ ઓફ રાઇટ્સમાં કોઈ ફેરફાર ન થયો હોવો જોઈએ. બીજું, રેકોર્ડ ઓફ રાઇટ્સમાં સામેલ તમામ વ્યક્તિઓનાં નામે વેચાણ દસ્તાવેજ થયો હોવો જોઈએ. ત્રીજું, વેચાણની તારીખે જમીન અંગે સક્ષમ સત્તા, કોર્ટ અથવા ટ્રિબ્યુનલ સમક્ષ વિવાદ, કાર્યવાહી કે લિટિગેશન પેન્ડિંગ ન હોવું જોઈએ. સક્ષમ સત્તા, કોર્ટ કે ટ્રિબ્યુનલના હુકમ અથવા ડિક્રીના આધારે થતી મ્યુટેશન એન્ટ્રી નોંધાવી પ્રમાણિત કરી શકાશે.
બીજી તરફ, બુધવારે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક મળશે. વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત વચ્ચે મળનારી આ બેઠકમાં સત્ર દરમિયાન રજૂ થનારા 9 બિલ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં વિધાનસભાના સત્ર ઉપરાંત રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે પણ ચર્ચા થશે. ખાસ કરીને રાજ્યમાં વરસાદની ઘટ, પાણીની સ્થિતિ અને ખરીફ પાકના વાવેતર અંગે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે. ખેડૂતો અને ખેતીલક્ષી સ્થિતિને લઈને પણ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે.

