કાર્યવાહી@અમદાવાદ: સગીરાની છેડતી કરનારા આરોપીને કોર્ટે ગુનેગાર ઠરાવીને 5 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી
![કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPને કોર્ટે ગુનેગાર ઠરાવીને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded_original/7de435549025f61d667f459c49f31e0c.webp)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખોખરા વિસ્તારમાં સગીરાની છેડતી કરનારા આરોપીને પોક્સોના ખાસ જજ મનોજભાઈ બી. કોટકે ગુનેગાર ઠરાવીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટે ગુજરાત વીક્ટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ પીડિત કિશોરીને રૂ.૨ લાખનું વળતર ચૂકવવા હુકમમાં જણાવાયું છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, સમાજમાં આ પ્રકારના બનાવો વાંરવાર બની રહ્યા હોય ત્યારે આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં.
આરોપીને ઓછી સજા કરવામાં આવે તો ન્યાયનો કોઈ હેતુ જળવાય નહીં અને સમાજમાં આવા ગુના કરનારઓને કોઈ ડર રહે નહીં.
ખોખરા વિસ્તારમાં રહેતી સગીરા 18 નવેમ્બર 2020ના રોજ ઘરમાં એકલી હતી ત્યારે વિકાસ મહેન્દ્રભાઇ રાવલ તેના ઘરે ઈલેક્ટ્રિકનું કામ કરવા આવ્યો હતો અને એકલતાનો લાભ લઈને સગીરા સાથે છેડતી કરીને ધમકીઓ આપી હતી. આ ઘટના અંગે સગીરાએ તેના પરિવારને જાણ કરતા ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે વિકાસ મહેન્દ્રભાઈ રાવલની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂક્યું હતું.
આ કેસ ચાલતા સરકારી વકીલ કમલેશ જૈન અને મીનલ ભટ્ટે 11 સાક્ષીઓ અને 26 દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, આવા કિસ્સા વધી રહ્યાં છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં પોક્સોના કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સખતમાં સખત કેદની સજા કરવી જોઇએ.