વરસાદ@ગુજરાત: રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોંધાયો, સુરતમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાં 8 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ. NDRF-SDRF તૈનાત, ખાડીની સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર.ગુજરાતમાં સુરત સહિત પાંચ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સોમવારે 5 ઈંચથી વધુ વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી ડૂબ્યા હતા. આજે પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થતા ચારેકોર જળબંબાકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ જતા લોકોનું ટ્રેકટર અને બોટથી રેસ્ક્યૂ કરવાની ફરજ પડી રહી છે.
સુરત શહેરમાં ધોધમાર વરસાદની વચ્ચે એક બાળકીનું કરંટ લાગતા અને એક મહિલાનું વીજળી પડતા મોત નિપજ્યું છે. સહારા દરવાજા ગરનાળામાં મુસાફર ભરેલી એસટી બસ ફસાઈ હતી, જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે. અતિભારે વરસાદની આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં સાડા આઠ ઈંચ, સુરત શહેરમાં 7 ઈંચ અને સુરતના પલસાણામાં 6 ઈંચ વરસ્યો છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં ધસમસતી પાણીની આવક થતાં તમામ 59 દરવાજા ફૂટ છ ઈંચ ખોલવામાં આવ્યા છે.
ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે પણ 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’, જ્યારે અન્ય 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે આશ્ચર્યજનક રીતે, 7 જુલાઈ આવી ગઈ હોવા છતાં રાજ્યના 8 તાલુકા એવા છે, જ્યાં હજી સુધી મોસમનો એક પણ વરસાદ પડ્યો નથી, જેમાં 6 તાલુકા એકલા કચ્છ જિલ્લાના છે.
નવસારી જિલ્લામાં રેડ એલર્ટની આગાહી વચ્ચે વહેલી સવારથી સરેરાશ 2.7 ઈંચ વરસાદ ખાબક્યો છે અને આજે ભારે વરસાદની સંભાવના છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરે તમામ નાના-મોટા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ આપ્યા છે અને પૂર્ણા, અંબિકા તેમજ કાવેરી નદીઓના જળસ્તર પર 24 કલાક મોનિટરિંગ શરૂ કરાયું છે. કોઈપણ ઈમરજન્સી માટે SDRFની ટીમ તૈનાત કરી દેવાઈ છે અને NDRF સાથે સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો 25% એટલે કે 23 ઈંચ વરસાદ વરસી ચૂક્યો હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા ખાસ અપીલ કરવામાં આવી છે.
સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પલસાણા અને ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક ખાડીઓમાં મોટા પ્રમાણમાં નવા પાણીની આવક નોંધાઈ છે, જેના પરિણામે ખાડીઓની જળસપાટીમાં વધારો થયો છે. આ પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને સુરતના નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં આશરે 2100 જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા અને સ્થાનિક રાહત કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે NDRF અને SDRFની વિશેષ ટીમો આજે જ સુરત આવી પહોંચશે, જેથી પૂરના સંકટ સમયે બચાવ કાર્ય ઝડપથી કરી શકાય.
બીજી તરફ, સહારા દરવાજા ગરનાળામાં એસટી બસ ફસાઈ હતી. જોકે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે લોકો જીવના જોખમે કોંક્રિટ પિલર પર ચડીને રેલવે ટ્રેક ક્રોસ કરતા નજરે પડ્યા હતા. આ રેલવે ફાટક ગરનાળાની ઉપર આવેલું છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 34 જિલ્લાના 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 8 ઇંચથી વધુ, તેમજ પારડી, ઉમરગામ, સુરતના કામરેજ અને ભાવનગરના ઘોઘા તાલુકામાં 6-6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 07 જુલાઈ, 2026 સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 20.44 ટકા થઈ ગયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.79 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 1.92 ટકા વરસાદ થયો છે.
જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો, નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો 40.01 ટકા ભરાઈ ચૂક્યા છે, જેને પગલે 11 ડેમ હાઇ એલર્ટ અને 4 ડેમ એલર્ટ પર છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1,528 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર અને 134 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, તેમજ કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે NDRF અને SDRFની કુલ 36 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે.

