રિપોર્ટ@ગુજરાત: વડનગરમાં પ્રાચીન અવશેષોનું એક વિશાળ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે.

એશિયાનું સૌથી મોટું મ્યુઝિયમ
 
રિપોર્ટ@ગુજરાત: વડનગરમાં પ્રાચીન અવશેષોનું એક વિશાળ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે માટીમાં જન્મ્યા છે, એ ધરતીમાં સદીઓ જૂનો પૌરાણિક કાળનો ઇતિહાસ ધરબાયેલો છે. અહીં પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ ચાલી રહ્યુ છે. જેમાં અનેક અવશેષો મળી આવ્યા છે. વડનગર કેટલા કાળનું સાક્ષી રહ્યુ છે, એ તમામ આ અવશેષો પરથી જણાઈ રહ્યુ છે. વડનગર વડાપ્રધાન મોદીનું વતન રહ્યુ છે અને તેના કારણે તે દેશ દુનિયામાં જાણીતું બન્યુ છે.

વડનગરમાં હવે પૌરાણિક અવશેષો મળવાને લઈ અહીં વિશાળ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવનાર છે. જે મ્યુઝિયમ એશિયાનું પ્રથમ અને વિશ્વનું સૌથી મોટું બીજા ક્રમાંકનું હશે. જેને તૈયાર કરવા માટે તજવીજ હાથ ધરાઈ છે. આમ પ્રવાસ ક્ષેત્રે આ વિસ્તારને વધુ એક આકર્ષણ મળશે.

વડનગર અને તેનો આસપાસનો વિસ્તાર આમ પણ પ્રવાસનને લઈ વિકાસની ગતિ પકડી રહ્યો છે. ધરોઈ, તારંગાથી લઈને પવિત્ર યાત્રાધામ અંબાજી સુધીનો વિસ્તાર વિકાસ વડે કાયાપલટ કરી રહ્યો છે. આ વિસ્તારમાં રેલવેની બ્રોડગેજ સુવિધાઓ પણ જોડવામાં આવી છે. આ દરમિયાન હવે અહીં દુનિયાના સૌથી મોટા પૈકી બીજા સ્થાનનું આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવનાર છે.

આ મ્યુઝિયમ વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલ પ્રાચીન અવશેષોને રાખવાને લઈ નિર્માણ કરવામાં આવશે. સાત મજલાનું મ્યુઝિમ તૈયાર કરવામાં આવશે. જેમાં સાત કાળના અલગ અલગ મળી આવેલ અવશેષોને મ્યુઝિયમમાં રાખવામાં આવશે. વડનગર સાત કાળનું સાક્ષી રહ્યુ છે, આમ સાતેય કાળના પૌરાણિક અવશેષ રાખવામાં આવશે.

દેશને મળવા જઈ રહેલા આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની વાત કરવામાં આવે તો, એ 21 મીટર ઉંચાઈ ધરાવતું હશે. જેને વડનગરના અમરથોળ દરવાજા પાસે 13,500 સ્ક્વેર ફુટ વિસ્તારમાં તૈયાર કરવામાં આવનાર છે. આ માટેની કામગીરી શરુ કરવામાં આવી છે. અઢી હજાર વર્ષનો ઇતિહાસ અહીં એક મુલાકાતમાં જોવા મળશે. વડનગરમાં આટલા દાયકાઓથી એક અથવા બીજાનો વસવાટ રહ્યો છે. આ નગરીનો ક્યારેય ધ્વંસ નહીં થયાનો ઇતિહાસ છે. એટલે આ તમામ પૌરાણિક અવશેષો અને તેની સાથે જોડાયેલ ઇતિહાસની વાતોને જાણવા મળશે.