રિપોર્ટ@અમદાવાદ: 2 વ્યક્તિએ વેપારીના વાહનની ડેકી ખોલીને 18 લાખની લૂંટ ચલાવી

આ અંગે વેપારીએ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
 
રિપોર્ટ@અમદાવાદ: 2 વ્યક્તિએ વેપારીના વાહનની ડેકી ખોલીને 18 લાખની લૂંટ ચલાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરી, લૂંટફાટ, મારમારી અને બળાત્કારના ગુનાઓ ખુબજ વધી ગયા છે. અમદાવાદ શહેરના સરસપુરમાંથી વેપારી આંગડિયામાંથી આવેલા પૈસા લઈને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા બાઈકચાલકોએ વેપારીને રોકીને ઝગડો કર્યો હતો. ઝગડા દરમિયાન વેપારીના વાહનની ચાવી રોડ પર ફેંકી દીધી હતી. વેપારી ચાવી લેવા ગયા ત્યારે અન્ય બે વ્યક્તિએ વેપારીના વાહનની ડેકી ખોલીને 18 લાખની લૂંટ ચલાવી હતી. આ અંગે વેપારીએ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સાબરમતીમાં રહેતા નારાયણદાસ બિનાની લોખંડના ખરીદ વેચાણનો ધંધો કરે છે. 12 નવેમ્બરે તેઓ તેમના ટુ-વ્હીલર જ્યુપિટર લઈને દરિયાપુર ખાતે મિત્રને મળવા ગયા હતા. આ દરમિયાન એક વેપારીને 18 લાખ ધંધાના આપવાનો હોવાથી તેઓ નવરંગપુરા ખાતે આવેલા ઈશ્વર સોમા નામની આંગડિયા પેઢીમાં ગયા હતા, જ્યાં તેમના વેપારના 21.36 લાખ રૂપિયા આવ્યા હતા. આ પૈસામાંથી તેમણે 18 લાખ રૂપિયા વાહનની ડેકીમાં મૂકી દીધા હતા, જ્યારે બાકીના 3.36 લાખ રૂપિયા ખભા પર ભરાવેલી બેગમાં મૂક્યા હતા.

પૈસા લઈને તેઓ જ્યુપીટર લઈ રખિયાલ ખાતે કામ માટે નીકળ્યા હતા. સાંજે 5:15 વાગ્યાની આસપાસ સરસપુર વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે તેઓ પહોંચ્યા ત્યારે એક અજાણ્યા બાઈકચાલકે તેમનું આગળ બાઇક લાવીને કહ્યું કે કાકા ગાડી બરાબર ચલાવો જેમ તેમ ન ચલાવો. જેથી બંને વચ્ચે રકઝક થઈ ગઈ હતી. બાઈક ચાલકે નારાયણ દાસના જયુપીટર વાહનની ચાવી કાઢીને થોડા આગળ લઈ જઈ રોડ પર ફેંકી દીધી હતી. જેથી નારાયણદાસ ચાવી લેવા ગયા ત્યારે તેમના જયુપીટરની ડેકી ખોલીને એક્સેસ પર આવેલા બે વ્યક્તિ ડેકીમાંથી 18 લાખ ભરેલી બેગ લઈને જઈ રહ્યા હતા.

બનાવ બનતા તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. 18 લાખની લૂંટનો મામલો હોવાથી ઝોન 3 ડીસીપી,એસીપી પીઆઇ સહિતનો પોલીસ કાફલો તપાસ માટે પહોચ્યો હતો. મોડીરાત સુધી પોલીસે તપાસ કરી હતી. પોલીસે બે અલગ અલગ વાહન પર આવેલા અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.