રિપોર્ટ@અમદાવાદ: સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટોત્સવની ઉજવણી કરાઇ, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટોત્સવની ઉજવણી કરાઇ. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આ પર્વનો મહિમા આપતા જણાવ્યું હતું કે, દિવાળી એટલે જીવનની કડવાશ, સંધર્ષ તેમજ ધર્ષણ ભૂલવાનો દિન છે.
ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો બાહ્યશત્રુ તેમજ અંતર:શત્રુ ટળે છે. ભગવાનનું શરણું જ નિર્ભય છે. ભગવાનના સાનિધ્યમાં ચોપડા પૂજન કરો છો તો સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ છે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તશો તો તેના જીવનમાં ક્યારેય ખોટ નહીં આવે.
મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તેમજ સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ભવ્યતા અને દિવ્યતાસભર અન્નકૂટોત્સવનું આયોજન કરાયું હતું.
અન્નકૂટમાં ભક્ષ્ય, ભોજય, લેહ્ય તેમજ ચોષ્ય પ્રકારના ભોજન બનાવાયા હતા. 666 અનેકવિધ વાનગીઓમાં – મીઠાઈનો રાજા મેસૂબ, મોહનથાળ વગેરે મિઠાઈઓ, ફરસાણ, મુખવાસ, ફ્રૂટ વગેરે અન્નકૂટમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને ધરાવવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે અન્નકૂટોત્સવની આરતી ઉતારી હતી અને સહુ સંતો હરિભક્તોએ પણ આરતી ઉતારવાના અણમોલા લ્હાવા લીધા હતા. આ પાવનકારી અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.