રિપોર્ટ@સુરત: ગુમ થયેલ આધેડની લાશ મળી, મોતનું કારણ અકબંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. અમરેલીના ધારીના વતની અને સરથાણા જકાતનાકા મેઘમલ્હાર પાસે સાન્વી હાઈટ્સમાં રહેતા 58 વર્ષીય સુરેશભાઈ વાલજીભાઈ સોજીત્રા નિવૃત્ત જીવન વ્યતિત કરતા હતા. શુક્રવારે તેઓ ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા. તેમની શોધખોળ હાથ ધરતા તેમની બાઈક મોટા વરાછા દુ:ખીયાના દરબાર નજીક નહેર પાસેથી મળી આવતા તેઓ નહેરમાં તણાયા હોવાની શક્યતા વ્યક્ત કરાઇ હતી.
શનિવારે સવારે જહાંગીરપુરા વરીયાવ ગામ ધોળા ગરનાળા પાસે નહેરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમની પાસેથી આધાર કાર્ડની ઝેરોક્ષની પાછળ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેના આધારે તેમની ઓળખ થઈ હતી.
તેમણે સ્યુસાઈડ નોટમાં લખ્યું કે ‘ કોઈનો વાંક ગુનો કે દોષ નથી, કોઈને હેરાન ન કરતા, શૈલેષ શાયર પાસેથી પૈસા આવી ગયેલ છે કોઈપણ પ્રકારની વિધી કે કારજ ન કરતા આટલુ માન્ય રાખજો દેશમાં ગામડે બેસણું કે કાળ રાખવુ નહી’. જોકે, સ્યુસાઈડ નોટમાં આપઘાતનું કારણ લખ્યું ન હતું.