રિપોર્ટ@રાજકોટ: અગ્નિકાંડને લઈ કોંગ્રેસે BJP પર આકરા પ્રહાર કર્યા, જાણો વધુ વિગતે

પથ્થરદિલ હૃદય પણ રડી પડે
 
રિપોર્ટ@રાજકોટ: અગ્નિકાંડને લઈ કોંગ્રેસે  BJP પર આકરા પ્રહાર કર્યા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ લોકોના હૃદય કંપાવી ઉઠ્યા છે.  રાજકોટમાં TRP ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના અંગે આજે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના અંગે સવાલો ઉઠાવ્યા હતા. એમાં શક્તિસિંહે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનું સંચાલન બીજું કોઈ કરે છે. જ્યારે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કમલમમાં પહોંચતાં કમિશનને કારણે થયેલો આ કાંડ છે. ધાનાણી બોલ્યા હતા કે આ પહેલી દુર્ઘટના નથી, પણ છેલ્લી બને એવા પ્રયાસો કરવા જરૂરી છે.


શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અતિદુઃખદ અને કરુણ ઘટના રાજકોટમાં બની છે. ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે સાચો આંકડો બહાર આવશે કે કેમ? અનેક વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. રાજકોટ ખાતે પથ્થરદિલ હૃદય પણ રડી પડે એ પ્રકારની આ ઘટનામાં બાળકોના ટુકડેટુકડા અને માનવ અવશેષો પ્રાપ્ત થાય એ પ્રકારની આ ઘટના બની છે. માણસના જીવની કોઈ કિંમત નથી, સંપત્તિ પણ માણસને જીવ પરત નથી આપી શકતો. કોઈપણ એસઆઇટી કે સરકારના શબ્દો પણ તેને જીવ આપી શકવાના નથી.


શક્તિસિંહે વધુમાં જણાવ્યું હતું કે બંધારણ પ્રમાણે લોકોના જાનમાલ અને મિલકતની સુરક્ષાની જવાબદારી સરકારની છે. એકાદ ઘટના બને તો સરકારે બોધપાઠ લેવો જોઈએ, પરંતુ આ સરકાર સુરતની તક્ષશિલાની ઘટનામાં આજે પણ ન્યાય હજુ સુધી પરિવારોને મળ્યો નથી. મોરબીનો પુલ તૂટ્યો એમાં મોટાં માથાં કે સરકાર જવાબદારોનો સ્વીકાર કરતી નથી. વડોદરામાં હરણી લેકમાં નાના ભૂલકાંના જીવ ગયા. બ્રિજનું ઉદઘાટન પહેલાં બ્રિજ તૂટી પડે એ પ્રકારની ઘટનાઓ રોજિંદી બની છે. આ બ્રિજ બનાવતી હતી એ બ્લેકલિસ્ટ થયેલી કંપનીએ ભાજપને નાણાં આપ્યા હોઈ, બ્લેકલિસ્ટમાંથી નીકળી ગઈ હતી.


શક્તિસિંહે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં નાનુંએવું બાંધકામ પણ મંજૂરી વગર ચાલે તો એ સમજી શકાય, પરંતુ આ પ્રકારે છડે ચોક ચાર-ચાર વર્ષથી બાંધકામ અને ગેરકાયદે ગેમ ઝોન ચાલે છતાં તંત્ર બેદરકાર રહે એ કેટલે અંશે વાજબી છે? અને આ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના તમામ નિયમોનું છડે ચોક ઉલ્લંઘન થયું છે. અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે આ બનાવમાં નાના અધિકારીઓ પર પગલાં લીધાં, જ્યારે મેયર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારીઓ સામે કોઈ પગલાં લેવા તો દૂર તેના નામ પણ ફરિયાદમાં લખવામાં આવ્યાં નથી. જ્યારે આવા અધિકારીઓના ફોટા સોશિયલ મીડિયામાં હોય ત્યારે નાના અધિકારીને સસ્પેન્ડ કરવાને બદલે મોટા અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ જવાબદારી બનતી હોય. તેમની સામે પણ એફઆઇઆર કરવી જોઈએ.


શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2022માં તત્કાલીન સમયના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, કિશોરભાઈ રાઠોડ તથા ભાજપની સમગ્ર ટીમ આ જગ્યાએ જાય છે. કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અધિકારીઓ જે ટ્રેકમાં ફોટો પડાવ્યો છે તેની બાજુનું બિલ્ડિંગ સળગ્યું છે. સરકાર પાંચ અધિકારીને સસ્પેન્ડ કરી આવા મોટા અધિકારીઓને છાવરે છે. જે અધિકારીઓ કટ કટાવતા હોય છે તેમને ફિલ્ડમાં રાખે છે. આ સરકારમાં કડક અને નિષ્ઠાવાન અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ આપી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે અમારું કહ્યું નહીં કરો તો તમારી નોકરી ખતમ થઈ જશે.


સતીશ વર્મા, રાહુલ શર્મા, રજનીશ રાય જેવા પોલીસ અધિકારીઓની કારકિર્દી ભારતીય જનતા પાર્ટીએ ખતમ કરી છે. અધિકારીઓ પર ધાકધમકી ઊભી કરે છે. અધિકારીઓને પગાર કોંગ્રેસ-ભાજપમાંથી આવવાનો નથી એ જનસેવક છે તે ભાજપના સેવક નથી. હું ફરી માગ કરીશ કે ઉચ્ચ અધિકારીઓનાં નામ દાખલ કરવામાં આવે. મુખ્યમંત્રીની પાછળ કોઈ બેકસીટથી ડ્રાઈવિંગ કરે છે. જે પરિવારોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યાં છે તેમને વધુ આર્થિક અને મોટી મદદ કરવી જોઈએ, કારણ કે મોટા મોટા ઉદ્યોગપતિઓને લાખો રૂપિયા માફ કરી શકતી હોય તો આ ઘટનામાં સરકારની જવાબદારી બને છે. આવતીકાલે દરેક જિલ્લા મથક પર બિનરાજકીય રીતે કાર્યક્રમ કોંગ્રેસના તમામ આગેવાનો કરશે અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.


આ તકે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજકોટમાં જે ગોઝારો બનાવ બન્યો છે એ પરિવારો બાળકો સાથે જીવ ગુમાવે એ તમામને દુઃખ સહન કરવાની શક્તિ આપે. રાજકોટમાં અગ્નિકાંડમાં 28 વ્યક્તિના જીવ કમલમમાં પહોંચતા હપતાને કારણે ગયા છે. સરકારની ગુનાહિત બેદરકારીને કારણે જીવ ગયા છે. મોરબી, તક્ષશિલા, વડોદરા અને હવે રાજકોટની જે ઘટના ઘટી છે એમાં મુખ્ય વ્યક્તિઓને થોડી સહાય કરી એસઆઇટીની રચના કરી આ બનાવ ભૂલી જવામાં આવશે. આ સરકાર આ પ્રકારના બનાવો રોકવામાં સદંતર નિષ્ફળ પુરવાર થઈ છે. ગેમ ઝોનમાં પેટ્રોલ-ડીઝલ હોઈ, પુરવઠા અધિકારીની પણ જવાબદારી બને છે. ટીપી અને તમામ રોજિંદી કલેક્ટર કચેરી કમિશનર તમામ બાબતોની રેગ્યુલર તપાસ થવી જોઈએ, જે થઈ નથી.


અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે આવું ગેરકાયદે ચાલતું હોવા છતાં કોઈ અટકાવનાર નથી. બે દિવસ પહેલાં પણ આગનો બનાવ બન્યો હતો, પરંતુ તંત્ર ન જાગતાં આ પ્રકારની ઘટના બની છે. કમિશન ઉપર સુધી પહોંચાડવામાં આવે છે. વજુભાઈએ કહ્યું, વહેવારથી જ આ બધું ચાલે છે, વહેવાર એટલે નાણાં કહેવાય. ત્રણ-ચાર માછલા પકડી મગરમચ્છોને છોડી પડદો પાડવાનો પ્રયાસ થયો છે. તમામ અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવે. સરકાર હાલ ફરિયાદી બની છે, પરંતુ જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે તેવા લોકોને પણ ફરિયાદ કરવાની તક મળવી જોઈએ. અને એસઆઇટીએ મેયર તેમજ કમિશનર સામે ગુનો દાખલ કરવો જોઈએ.


પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજકોટનો આ બનાવ પહેલો બનાવ નથી. આ છેલ્લો બનાવ બને એવું આપણે બધા ઈચ્છીએ છીએ. સરકાર કાયદા ઘડે છે, એને પાલન કરાવવાની જવાબદારી મહાનગરપાલિકા પાસે હોય છે. ત્યારે મહાનગરપાલિકા આ કાયદાની અમલવારી કરવામાં ઊણું ઊતર્યું છે. જો કામદાર ક્યાંય ક્ષતિ કરે તો સુપરવાઈઝરની જવાબદારી બને છે. ત્યારે નાના માછલાઓને પકડી મગરમચ્છોને જે રીતે છોડી દેવામાં આવે છે એ કેટલે અંશે વાજબી છે?


તેમણે વધુમાં જણાવ્યું હતું કે તક્ષશિલામાં 22 બાળક, હરણી તળાવ વડોદરામાં 14 જિંદગી ડૂબી જાય. મોરબીના ઝુૂલતા પુલમાં મચ્છુની ગોદમાં કેટલાય જીવ સમાય જાય એ સરકારની નિષ્ફળતાને સાબિત કરે છે. આવા બનાવોમાં સરકાર એસઆઇટીની રચના કરે છે, પરંતુ 20 વર્ષ પછી પણ એસઆઇટીનો અહેવાલ સત્યની નજીક કેમ જતો નથી? સીટની રચના એ પડદો પાડવાની બાબત છે. ચાર વર્ષથી ગેમ ઝોન કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર ચાલતો હતો. આ મોતના તાંડવ માટે જવાબદાર કોણ અધિકારીઓ ઇવેન્ટ મેનેજર બની ગયા છે. એડમિનિસ્ટ્રેશન ખાડે ગયું છે, જેનો ભોગ ગુજરાતની પ્રજા અને ભૂલકાં બની રહ્યાં છે. ત્યારે હવે સાથે મળી ગુજરાતના જન જનની સુરક્ષા કરી આ મામલે રાજનીતિ બંધ કરવી જોઈએ.