રિપોર્ટ@મહેસાણા: યુવકના આપઘાત કેસમાં સંડોવાયેલા આરોપીની કોર્ટે જામીન અરજી ફગાવી
![અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/6fabf9a59b4e83c0321f909dd731aa47.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમા કેટલાય બનાવો બની રહ્યા છે. વિજાપુરના હિરપુરાના યુવકના આપઘાત કેસમાં સંડોવાયેલા અને જેલમાં બંધ આરોપીએ મહેસાણા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. સદર જામીન અરજી કોર્ટમાં ચાલી જતા કોર્ટે જામીન અરજી ફગાવી હતી. આરોપીને જેલ હવાલે કર્યો હતો.
વિજાપુર તાલુકામાં આવેલા હિરપુરાના મનોજ શંકર પટેલે તાજેતરમાં વ્યાજખોરોના ત્રાસે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જેને લઈ યુવકના પરિવાર સહિત સમાજમાં ભારે રોષ ઉભો થયો હતો. આ મામલે વિજાપુર પોલીસ પંથકમાં વિજાપુરના રેણુસિંહ ઉર્ફ દિપારામ દિનેશ સિંહ ચૌહાણ, હિરપુરાના પિયુષ વેરસી દેસાઈ, વિજપુરના સંજય હમીરભાઈ દેસાઈ, વિજપુરના ભરત રામભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાઇ હતી.
ફરિયાદમાં જણાવ્યાં પ્રમાણે આરોપીઓ પાસેથી 15 લાખ રૂપિયા રકમ હાથ ઉછીની લીધી હતી. તે રકમ પેટે આરોપીઓએ 10 થી 20 ટકા જેટલા ઊંચા વ્યાજ સાથે 40 લાખ થી 45 લાખ જેટલી રકમ વસૂલી હોવા છતાં આરોપીઓ દ્વારા વારંવાર ઉઘરાણી કરીને યુવકને આપેલ રકમ કડક ઉઘરાણી કરી ધમકી આપતા યુવકે દવા પી લઈ આપઘાત કર્યો હતો. ઉક્ત ફરિયાદ આધારે પોલીસે વિજાપુરના રેણુસિંહ ઉર્ફ દિપારામ દિનેશ સિંહ ચૌહાણની તાજેતરમાં ધરપકડ કરી હતી. જેલમાં બંધ આરોપીએ મહેસાણા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. સદર જામીન અરજી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ભરત ભાઈ.જી.પટેલ ની દલીલો આધારે સેશન્સ કોર્ટના જજ આર.એ બુખારીએ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી હતી.