રિપોર્ટ@ગાંધીનગર: વરદાયિની માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવરત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ગાંધીનગર શહેરના રૂપાલમાં આસો સુદ નોમના નીકળતી વરદાયિની માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. દર વર્ષની માફક માતાજીની પલ્લી પર હજારો લિટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી. વરદાયિની માતાજીના અને પલ્લીના દર્શન કરી લોકોએ માનતા પૂર્ણ કરી હતી. માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં ફરી હતી અને સવારે પોણા આઠ વાગ્યા આસપાસ વરદાયિની માતાજીના મંદિરે પરત ફરી હતી.
રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા છે જે આજે પણ અકબંધ છે. પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરતા પહેલા રાત્રિના સમયે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં અને બેરલમાં ઘી એકત્ર કરવામાં આવ્યું હતું. ગામના રસ્તા પર પલ્લી નીકળતા જ કાર્યકર્તાઓ દ્વારા ડોલ ભરી ભરીને પલ્લી પર ઘીનો અભિષેક કરાયો હતો.
પલ્લીની પ્રથા એવી છે કે જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીનાં દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હોય તેમની માતાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે. તો ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા કરે છે અને ગામાના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે એટલે તેના પર ઘી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવાય છે.