રિપોર્ટ@ગુજરાત: ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે મોકૂફ, જાણો વધુ વિગતે
વરસાદના કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ-કીચડથી ભરપૂર બની ગયો છે
                                          Updated: Oct 31, 2025, 18:58 IST
                                            
                                        
                                     
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની આસ્થા સમા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે મોકૂફ કરવાનો વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે. સતત વરસેલા વરસાદના કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ-કીચડથી ભરપૂર બની ગયો છે, જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા તેમજ સલામતીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સાધુ-સંતો અને ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં લેવાયો હતો. જોકે, ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ-સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતીકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 1લીના રાત્રિના મુહૂર્તમાં યોજાશે.

