રિપોર્ટ@ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દર્શન કરવા મામલે મારામારી થઈ

'દર્શન કરવા મામલે મારામારી થઈ'
 
રિપોર્ટ@ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દર્શન કરવા મામલે મારામારી થઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મારીની ઘટનાઓ ખુબજ વધી છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મારા-મારીની ઘટનાઓ સામે આવતી હોય છે.  ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારે મંગળા આરતી સમયે છૂટાહાથની મારામારી થઈ હતી. મંદિરના પરિસરમાં ભક્તો બાખડ્યા હતા. જે મામલો પોલીસ મથક સુધી લંબાયો છે. આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે. જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે.


સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે સોમવારે સવારની મંગળા આરતી સમયે જ મારામારીનાં દ્દશ્યો સર્જાયાં હતાં. મંદિરમાં જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં મારામારી કરી હતી. જોકે, આ છૂટાહાથની મારામારીનાં દ્દશ્યો કેમેરામાં કેદ થયાં હતાં.


સમગ્ર બાબતને લઈને વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનનાં દ્વાર ખૂલતા પહેલાં જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઊમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ગર્ભગૃહની સામે જ મંદિરના પરિસરમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છૂટહાથે મારામારી થઈ હતી. મારામારીની ઘટના બનતા ડાકોર મંદિરની રણછોડ સેનાએ અને સ્થાનિક પોલીસ દ્વારા મારામારી કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા. આ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.


આ બાબતે ડાકોર પીઆઈ વી.ડી.મંડોરાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, રેગ્યુલર દર્શનાર્થીઓ અને બહારથી આવેલા દર્શનાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મંદિર પરિસરમાં જ બોલાચાલી થઈ હતી. જે છૂટાહાથની મારામારી સુધી પહોંચતા બે પૈકી બહારથી આવેલા વૈષ્ણવ દર્શનાર્થીએ ડાકોર પોલીસમાં અરજી આપી છે, અમે આ અરજીના આધારે બંને પક્ષોને બોલાવી નિવેદનો લઈશું.


આ બાબતે ડાકોર મંદિરના મેનેજર જગદીશ દવેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મંદિરના પરિસરમાં આ ઘટના બની છે. દર્શન બાબતને લઈને બે વૈષ્ણવો વચ્ચે મારામારી થઈ છે. મંદિરમાં બંદોબસ્તમાં હાજર પોલીસકર્મી અને અમારા સિક્યુરિટીએ બંને ટોળાને શાંત પાડી છૂટા પાડ્યા હતા.

વધુમાં પોલીસ પણ મંદિરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ઘટનાની ગંભીરતા સમજી ઘટનાના CCTV ચેક કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતા અટકે તે હેતુસર કામગીરી કરી રહી છે. થોડા માસ અગાઉ પણ મંદિર પરિસરમાં આ રીતની મારામારીની ઘટના બની હતી. જેના સીસીટીવી પણ હાથ લાગ્યા હતા. આવી ઘટનાઓ બનતા અટકે તે દિશામાં પોલીસે કામગીરી શરૂ કરી છે.