રિપોર્ટ@અમદાવાદ: ભીડભંજન માર્કેટમાં 14 દુકાનમાં અચાનક ભીષણ આગ લાગી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આજે વહેલી સવારે દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. એક દુકાનમાં લાગેલી આગ આજુબાજુમાં આવેલી દુકાનોમાં પ્રસરી જતાં 14 જેટલી દુકાનોમાં આગ પહોંચી હતી. જાણ કરવામાં આવતાં 8 ફાયરની ગાડીઓ અને અધિકારીઓ-કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી છે. મોટા ભાગની દુકાનો કપડાં અને અન્ય ચીજવસ્તુઓની હતી, જેથી દિવાળીના સમયે આગ લાગતાં વેપારીઓને મોટું નુકસાન ગયું છે.
ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 5 વાગ્યે ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર બાપુનગર ચાર રસ્તા તરફ બજારમાં આવેલી દુકાનોમાં આગ લાગવાની ઘટના બની છે, જેથી ફાયરબ્રિગેડની 8 ગાડી રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે પાંચથી સાત દુકાનોમાં આગ પ્રસરી ચૂકી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.
એક બાદ એક તમામ દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી. કપડાં, ચપ્પલ અને અન્ય ચીજવસ્તુઓની દુકાન હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. આગમાં કુલ 12 જેટલી દુકાનો સંપૂર્ણપણે બળી ગઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે, જ્યારે બે દુકાન અડધી બળી ગઈ છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વેપારીઓને દિવાળીના સમયે જ મોટું નુક્સાન થયું છે. આગ લાગવાનું હજી કારણ જાણવા મળ્યું નથી.
શહેરના પૂર્વ વિસ્તારમાં બાપુનગર ભીડભંજન બજાર ખરીદી માટેનું સૌથી મોટું બજાર કહેવામાં આવે છે બાપુનગર ચાર રસ્તાથી લઈને હનુમાન મંદિર ચાર રસ્તા સુધી બંને તરફ 100 જેટલી દુકાનો આવેલી છે, જેમાં કપડાં, ચંપલ, ઘરવખરીની ચીજવસ્તુઓ, ખાણીપીણી વગેરેની દુકાનો છે અને દિવાળીનો તહેવાર હોવાના પગલે બજારમાં સાંજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે વહેલી સવારે આગ લાગતાં કોઈ જાનહાનિ થઈ નથી. જો સાંજના સમયે ઘટના બની હોત તો ખૂબ મોટી દોડધામ થઈ હોત.
ડિવિઝનલ ફાયર ઓફિસર રમેશ ગિરિએ જણાવ્યું હતું કે બાપુનગર કપડાંબજારમાં વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આગ લાગી હોવા અંગેનો મેસેજ મળતાંની સાથે ગોમતીપુર ફાયર સ્ટેશનની આઠ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ પહોંચી ત્યારે ચારથી પાંચ દુકાનોમાં આગ લાગી ચૂકી હતી. પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. મોટા ભાગની દુકાનો કપડાંની હતી અને મોટા પ્રમાણમાં જથ્થો ભરેલો હતો, જેથી આગ વધુ ફેલાઈ હતી. આ ઉપરાંત દુકાનમાં આગળના ભાગે જવાનો રસ્તો હતો, પાછળના ભાગે દરવાજા હતા, પરંતુ ત્યાં સામાન મૂકેલો હતો, જેથી જઈ શકાય એવી સ્થિતિ નહોતી. ફાયરબ્રિગેડની ટીમે ભારે મહેનત કરીને એક તરફનો ભાગ તોડી તેમજ ધાબા ઉપરથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે.

