રિપોર્ટ@સુરતઃ 22 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર આત્મહત્યાની ઘટના સામે આવી છે. દોઢ વર્ષની દીકરી સાથે રહેતી 22 વર્ષીય પરિણીતાએ સુરત આવી જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ બન્યો છે. ભાવનગરથી સુરત આવ્યા બાદ વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરના અતિથિ ભવનમાં રોકાયેલી 22 વર્ષીય મહિલાએ મંગળવારે સવારે પોતાની દોઢથી બે વર્ષની માસૂમ પુત્રીની નજર સામે જ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. મૃતકે દવા પીધા બાદ તેના પરિવારને પણ ફોન કર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, થોડા મહિનાઓ પહેલાં જ પતિનું અવસાન થયું હોવાથી મહિલા સતત પતિના વિરહમાં ઝૂરતી હતી અને ભારે એકલતા અનુભવી રહી હતી, જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ વાવ થરાદની વતની અને હાલ ભાવનગરના નારી રોડ પર કુંભારવાડા પાસે આવેલી ગીરનાર સોસાયટીમાં રહેતી 22 વર્ષીય રીના અક્ષય બારૈયાએ પોતાની દોઢથી બે વર્ષની દીકરીને લઈને ભાવનગરથી સુરત આવી હતી. તેણે વરાછા અશ્વિનીકુમાર રોડ પર આવેલા ઉમિયાધામ મંદિરના અતિથિ ભવનમાં રૂમ ભાડે રાખ્યો હતો અને ત્યાં રોકાઈ હતી. દરમિયાન મંગળવારે તેણે અચાનક રૂમમાં ઝેરી દવા પી લીધી હતી.
ચોંકાવનારી બાબત એ છે કે રીનાએ જ્યારે ઝેરી દવા પીધી ત્યારે તેની દોઢ વર્ષની માસૂમ પુત્રી પણ રૂમમાં હાજર હતી અને તેની નજર સામે જ માતાએ આ પગલું ભર્યું હતું. દવા પીધા બાદ રીનાએ તેના પરિવારના સભ્યોને ફોન કરીને જણાવ્યું હતું કે, મેં ઝેરી દવા પી લીધી છે. આ વાત ત્યાં હાજર અતિથિ ભવનના સ્ટાફના કાને પડતાં જ હોબાળો મચી ગયો હતો. સ્ટાફ અને અન્ય સેવાભાવી લોકો તાત્કાલિક રૂમ તરફ દોડ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી રીનાને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જોકે, ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રીનાએ ત્રણ વર્ષ પહેલાં જ અક્ષય નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેઓ ભાવનગર ખાતે સ્થાયી થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક દીકરીનો જન્મ થયો હતો. જોકે, વિધાતાએ કંઈક જુદું જ લખ્યું હોય તેમ માત્ર 3 થી 4 મહિના પહેલાં જ રીનાના પતિ અક્ષયનું ગંભીર બીમારીના કારણે અવસાન થયું હતું. પતિના અકાળ અવસાન બાદ રીના ભારે આઘાતમાં સરી પડી હતી અને સતત એકલતા અનુભવતી હોવાથી આ પગલું ભર્યું હોવાની પ્રબળ શક્યતા છે.
ઘટનાની જાણ થતાં જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન રીનાના મોબાઈલમાંથી તેની એક બહેનપણીનો નંબર મળી આવ્યો હતો, જેના પર સંપર્ક કરતાં સમગ્ર મામલાની સત્ય હકીકત અને પરિવારની વિગતો સામે આવી હતી. હાલ મૃતદેહને સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે મૃતક રીનાના પતિ અક્ષયના પરિવારના સભ્યો ભાવનગરથી સુરત આવી પહોંચશે, ત્યારબાદ પોલીસ રીનાનો મૃતદેહ પરિવારને સોંપશે. આ સાથે બાળકીનો કબજો પણ આપશે. આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

