રિપોર્ટ@ભાવનગર: વરસાદથી કપાસ, મગફળી, ડુંગળીનો પાક નિષ્ફળ, ખેડૂતોએ રાહત પેકેજની માગ કરી

5 લાખનું વાવેતરમાં રોકાણ કર્યું હતું, મૂડી પણ રહી નથી
 
 રિપોર્ટ@ભાવનગર: વરસાદથી કપાસ, મગફળી, ડુંગળીનો પાક નિષ્ફળ, ખેડૂતોએ રાહત પેકેજની માગ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કમોસમી ભારે વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખરીફ સીઝનમાં તૈયાર થયેલો પાક પાણીમાં પલળી જતાં અને રવિ સીઝન માટે કરાયેલ વાવેતર ધોવાઈ જતાં ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝુંટવાઈ ગયો છે. ખેડૂતોએ કપાસ, મગફળી, ડુંગળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું, તે નિષ્ફળ જતા સરકાર પાસે રાહત પેકેજ જાહેર કરવા માગ કરી છે.

ભાવનગર જિલ્લામાં ઓક્ટોબરથી ડિસેમ્બરનો સમય ખરીફ પાકની લણણી તથા રવિ સિઝનના વાવેતરનો ગણાય છે. આ સમય દરમિયાન ખેડૂતો મગફળી, કપાસ, તલ, એરંડા, કઠોળ અને પશુચારા જેવા પાકોની કાપણી કરતા હોય છે. તો બીજી તરફ ડુંગળી, ઘઉં, ચણા અને રાયડા જેવા રવિ પાકનું વાવેતર શરૂ થતું હોય છે. હાલમાં બંને સીઝન એકસાથે ચાલી રહી હોવાથી ખેતરોમાં મોટાપાયે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, પરંતુ અચાનક કમોસમી વરસેલા વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું છે..

કમોસમી વરસેલા વરસાદ અંગે ખેડૂત અશોકભાઈ ધોરીએ જણાવ્યું કે, અમે જે 15 વીઘામાં ડુંગળી-મગફળીનું વાવેતર કર્યું હતું, તે કમોસમી વરસાદને કારણે ફેલ થઈ ગયું છે. જે મહેનત કરી, ખર્ચો કર્યો તે પાણીમાં ગયો છે અને બધું ધોવાણ થઈ ગયું છે. અમે અંદાજિત 70 હજાર રૂપિયા જેવો ખર્ચ કર્યો હતો. હવે અમારે જે પાક નુકસાની થઈ છે, તેમાં સરકાર અમને રાહત આપે તેવી માગ કરી રહ્યા છીએ.

અન્ય ખેડૂત નિલેશભાઈએ જણાવ્યું કે, અમે આ વખતે માત્ર ડુંગળીનો જ પાક કર્યો છે. અત્યારે અમારી ડુંગળીનો ભાવ પણ નથી અને જે ડુંગળીનું રોપણ છે તે પણ ફેલ થઈ ગયું છે. અંદાજિત ચારથી પાંચ લાખનું મારૂ આ પાક વાવેતરમાં રોકાણ હતું, તે હાલ આ અવિરત વરસાદ વરસ્યો તેમાં પાણીમાં તણાઈ ગયું છે. એટલે હવે સરકાર અમને રાહત પેકેજ આપે તો અમે એની અપેક્ષા લઈને બેઠા છીએ. અત્યારે અમારી પાસે મૂડી પણ રહી નથી.

કમોસમી વરસેલા માવઠાં અંગે ખેડૂત પ્રવીણભાઈએ જણાવ્યું કે, 26 ઓક્ટોબરે રાત્રિના કમોસમી ધોધમાર વરસાદ આવ્યો અને ડુંગરનું પાણી વાડીઓમાં ઘૂસી ગયું હતું. વાડીમાં પાળા બનાવેલા હતા, તે પાણીના પ્રવાહમાં તૂટી ગયા અને અમારી વાડીઓમાં પાણી ઘૂસી ગયું હતું. અમે જે ડુંગળીના વાવેતર પાછળ ખર્ચ કર્યો તે નિષ્ફળ ગયો છે. હવે સરકાર નુકસાની અંગે રાહત પેકેજ જાહેર કરે તેવી માગ છે.

આ અંગે ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, મુખ્યત્વે ચોમાસું વાવેતર છે તે ભાવનગર જિલ્લામાં કુલ ચાર લાખ હેક્ટરમાં થાય છે. જેમાં સૌથી વધુ બે લાખ દસ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે અને એક લાખ દસ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. આમ બે મુખ્યત્વે પાકોનું વાવેતર થાય છે. નુકસાની અંગે વાત કરીએ તો ઓક્ટોબર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે, જેમાં ઘણા બધા વિસ્તારોમાં મગફળીની કાપણી થઈ ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં મગફળીની કાપણી થઈ હોય પણ ખેડૂતો દ્વારા પાથરા લેવામાં ન આવ્યા હોય તો પાથરા પલળવાની ઘટના અમારા સામે આવી છે.

કપાસના પાકમાં પેલી વીણી હોવાથી પાણી પડવાથી કપાસની ગુણવત્તા બગાડી શકે છે. હજુ બે દિવસ વરસાદની આગાહી છે. પાક પરિસ્થિતિ અંગે વરસાદના વિરામ બાદ શું આંકલન નીકળે છે અને એ પ્રમાણે રાજ્ય સરકાર તરફથી જે માર્ગદર્શન મળે એ અંગે અમે કામગીરી શરૂ કરીશું. અમારા ફિલ્ડ તંત્ર અને વહીવટી તંત્ર આ બાબતે હાલ ફિલ્ડમાં છે અને સંકલન કરીને અમે કામગીરી શરૂ કરીશું.