રિપોર્ટ@સુરત: બાઈક પર જઈ રહેલું વૃદ્ધ દંપતી ટેન્કર સાથે અથડાતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. આઉટર રિંગ રોડ ફરી એકવાર લોહીલુહાણ થયો છે. બાઈક પર જઈ રહેલું વૃદ્ધ દંપતી ટેન્કર સાથે અથડાતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વિશાળ ટેન્કર બાજુમાંથી પસાર થતા સમયે વૃદ્ધ બાઈક ચાલકથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પાછળના ટાયરમાં ઘૂસી જતા લોહીલુહાણ થયાં હતાં. આ અંગે જાણ થતા અમરોલી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગરના માન વિલાસ ગામના રહેવાસી અને હાલ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતાં 60 વર્ષીય ભૂપતભાઈ લાલજીભાઈ ડુંગરાણી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની, દીકરો, પુત્રવધુ અને પૌત્રી-પૌત્ર છે. ભૂપતભાઈના દીકરાને મિલિંદ ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન છે. 24 નવેમ્બરે ભૂપતભાઈ અને તેમના 58 વર્ષીય પત્ની ઉષાબેન બાઈક પર વરિયાવથી વેદાંત સર્કલ તરફ જઈ રહ્યા હતા.
ભૂપતભાઈ અને તેમના પત્ની અમરોલી ખાતે સબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફરતા હતા. દરમિયાન આઉટર રિંગ રોડ પર વેદાંત સર્કલ પાસે પસાર થઈ રહ્યા હતા. આ સમયે બાજુમાંથી એક વિશાળ ટેન્કર પસાર થતાં ભૂપતભાઈએ બાઈકના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને સીધા ટેન્કરના પાછળના ટાયર સાથે અથડાયા હતા. ત્યારબાદ બંને રોડ પર પટકાતા માથામાં ગંભીર ઈજાવો થઈ હતી.
અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જોકે ઉષાબેનનું મોત થઈ ચુક્યું હતું, જ્યારે ભૂપતભાઈના થોડા શ્વાસ ચાલી રહ્યા હતા જેથી રાહદારીઓ દ્વારા 108ને બોલાવવામાં આવી હતી. જોકે, 108ના તબીબ દ્વારા ભૂપતભાઈને પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે દીકરાને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સાથે જ પોલીસને પણ જાણ થતા અમરોલી પોલીસ સ્થળે દોડી ગઈ હતી.
અકસ્માતે પરિવારે ઘરના બે વડીલને ગુમાવતા શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. હાલ તો આ મામલે ટેન્કરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

