રિપોર્ટ@વડોદરા: બાઈક સ્લિપ થતાં પરિવાર નદીના પ્રવાહમાં તણાયો, 2 બાળકો લાપતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા શહેરમાથી એક દૂ:ખદ દુર્ઘટના સામે આવી છે. પાદરા તાલુકાના કોટના ગામે ગઇકાલે દુર્ઘટના બની હતી. કરજણના વિરજઈથી કોટના ગામને જોડતા કોઝવે પરથી પસાર થતી બાઈક અચાનક ઢાઢર–વિશ્વામિત્રી નદીમાં વહી જતાં 2 બાળકો લાપતા છે.
જ્યારે દંપતીને બચાવી લેવામાં આવ્યું છે. ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં આ ઘટના બની હતી. હજુ સુધી બંને બાળકો ગુમ છે. SDRFની ટીમ બાળકોની શોધખોળ કરી રહી છે. તથા નદીમાં તણાયેલા હિતેશભાઈ પઢિયાર અને વૈશાલીબેનને વડું ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
કોટના ગામના રહેવાસી હિતેશભાઈ જયંતિભાઈ પઢીયાર પોતાની પત્ની વૈશાલીબેનને વાઘોડિયા તાલુકાના આલ્વા ગામથી પોતાના બે સંતાન દેવેન્દ્ર અને સોહમ સાથે બાઈક પર કોટના પરત ફરતા હતા. વરસાદના કારણે કોઝવે પર પાણી ભરાયાં હતાં, જેના કારણે બાઈક સ્લીપ થઈ જતા પરિવાર આખો નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ કોટના ગામના માજી સરપંચ રાજુભાઈ પઢિયાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બાદમાં વડું પોલીસ અને કરજણ ફાયરબ્રિગેડની જાણ કરતા ટીમો પણ પહોંચી ગઈ હતી અને નદીમાં બાળકોની શોધખોળ શરૂ કરી છે.
કોટના ગ્રામ પંચાયત સભ્ય અલ્પેશ ગોહિલે જણાવ્યું હતું કે, હિતેશભાઈ અને એમના પત્ની એમના પિયર અલવા ગામમાંથી આવતા હતા અને કોઝવે પર બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી અને બે બાળકો સહિત બાઇક સહિત અંદર નદીમાં પડ્યા હતા. અહીં નદીમાં થોડું પાણીનું લેવલ વધવાના કારણે બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી અને અંદર પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાં પતિ-પત્નીનો બચાવ થયો છે, પણ બાળકોનો અને બાઇકનો પતો નથી. એક બાળકની પાંચ વર્ષ અને નાના બાળકની બે વર્ષની ઉંમર છે. અમારી સ્થાનિક બોટ લઈ અને અમે ટ્રાય કર્યો અંદર નદીમાં ગયા પણ મગરો ઘણા જોયા છે એટલે અમારે જેટલું થતું હતું એટલું અમે કર્યું છે અને અમારી પાસે કોઈ વધારે સગવડ ન હતી. અમે કલાકની મહેનત બાદ પરત પાછા બોટ લઈને બહાર આવ્યા છીએ.
સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક દોડી જઈ હિતેશભાઈ અને તેમની પત્ની વૈશાલીબેનને બહાર કાઢ્યા હતા, પરંતુ તેમના બે નાનકડા સંતાન દેવેન્દ્ર અને સોહમનો હજુ પણ ગુમ છે. હિતેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દુર્ઘટનાએ આખા કોટના ગામ સહિત પાદરા વિસ્તારમાં ગમગીનીનું મોજું ફેલાવી દીધું છે. સ્થાનિકોએ પ્રશાસનને અપીલ કરી છે કે વરસાદી મોસમ દરમિયાન આવા કોઝવે પર ચેતવણી બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને.