રિપોર્ટ@વડોદરા: નશામાં ધુત નબીરાના કારણે પરિવારે 2 બાળક ગુમાવ્યાં, જાણો વધુ વિગતે

મોડીરાત્રે બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલ દ્વારા આ બાળકને તેના પરિવારને સોંપી દેવામાં આવ્યું છે
 
રિપોર્ટ@વડોદરા: નશામાં ધુત નબીરાને કારણે પરિવારે 2 બાળક ગુમાવ્યાં, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અવધૂત ફાટક પાસે 21 ઓક્ટોબરને દિવાળીની રાત્રે નશામાં ચૂર નીતિન ઝાએ શ્રમજીવી પરિવાર ઉપર ગાડી ચઢાવી દીધી હતી. આ ઘટનામાં 4 વર્ષના એક બાળકનું મોત નીપજ્યું હતું, તો બાળકની ગર્ભવતી માતા પણ ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલાની અધૂરા મહિને ડિલિવરી કરવાની ફરજ પડી હતી. દિવાળી બાદથી સારવારમાં રહેલા બાળકે પણ 6 નવેમ્બરની મોડીરાતે જીવ ગુમાવી દેતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે. નબીરાને કારણે પરિવારે બે બાળકને ગુમાવતાં રોષ સાથે આરોપીને કડક સજા કરવાની માગ કરી છે.

દિવાળીની રાતે નીતિન ઝાએ ચિક્કાર દારૂ ઢીંચ્યો અને અકોટાની એક હોટલમાં જમવા માટે એકલો નીકળ્યો હતો ત્યારે આ ગંભીર અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં મારવાડી પરિવારના ચાર વર્ષના નીતિનનું મોત થયું હતું. તો અન્ય 4 શ્રમજીવીને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં મૃતક બાળકની માતા સોનિયાબેનને 6 મહિનાનો ગર્ભ હતો, તેમને પણ હાથ અને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જીને ભાગતાં કારચાલક નીતિન ઝાનો લોકોએ પીછો કરીને ઝડપી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની બોટલો મળી હતી.

આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાં ગર્ભવતી મહિલા સોનિયાબેનને પહેલા સયાજી હોસ્પિટલ, બાદમાં વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જોકે તેમણે ફરી સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન પરિસ્થિતિને જોતાં સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સોનિયાબેનની ડિલિવરી કરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલના તબીબોના અથાગ પ્રયાસોથી સોનિયાબેને ફરી પુત્રને જન્મ આપ્યો હતો.

બાળકની હાલત નાજુક હોવાથી તેને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જોકે ગત મોડીરાત્રે બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલ દ્વારા આ બાળકને તેના પરિવારને સોંપી દેવામાં આવ્યું છે, પરિવાર બાળકને રિક્ષામાં લઈને ખાસવાડી સ્મશાન પહોંચ્યો હતો અને ત્યાં તેની દફનવિધિ કરવામાં આવી છે.

મૃતક બાળકના નાના બિરજુભાઈએ જણાવ્યું હતું કે અમને ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ પર ભરોસો છે. આરોપી નીતિન ઝાને સજા આપવામાં આવશે. અમારી માગણી છે કે તેને કડકમાં કડક સજા થવી જોઈએ. તેને ફાંસીને માંચડે ચડાવી દેવો જોઈએ. તેને સજા એ મોત આપવું જોઈએ, જેથી કરીને ફરી બીજી કોઈ વ્યક્તિ દારૂ પીને ગાડી ચલાવતા વિચાર કરે. મારી દીકરી સોનિયાને તો તેના નવજાત બાળકના મોત વિશે માહિતી આપી નથી. તેને ખબર પડશે તો તેની શું હાલત થશે એની મને ચિંતા છે.