રિપોર્ટ@ગુજરાત: ગુજરાત સરકારના 18 અધિકારીઓની IAS તરીકે બઢતી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત રાજ્યની વહીવટી સેવાના કુલ 18 અધિકારીઓને ભારતીય વહીવટી સેવામાં બઢતી આપવાનો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અને તાલીમ વિભાગ દ્વારા 25 જૂન 2026ના રોજ આ અંગે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
નોટિફિકેશન મુજબ વર્ષ 2025 દરમિયાન સર્જાયેલી ખાલી જગ્યાઓ સામે તૈયાર કરાયેલી સિલેક્ટ લિસ્ટ-2025માંથી 17 અધિકારીઓને IASમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત, અમદાવાદ બેન્ચના ટ્રિબ્યુનલના આદેશના પાલનરૂપે સિલેક્ટ લિસ્ટ-2024માંથી વધુ એક અધિકારીને પણ IAS કેડરમાં સ્થાન આપવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારના હુકમ અનુસાર તમામ અધિકારીઓને હાલ પ્રોબેશન પર IAS કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સિનિયોરિટી અને એલોટમેન્ટ વર્ષ નક્કી કરવા માટે ગુજરાત સરકારને જરૂરી દરખાસ્ત મોકલવા સૂચના આપવામાં આવી છે.

