રિપોર્ટ@ગુજરાત: અકસા એરલાઈન્સની ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

મુસાફરોને નીચે ઉતારીને પ્લેનનું ચેકિંગ કરવામાં આવ્યું
 
રિપોર્ટ@ગુજરાત: અકસા એરલાઈન્સની ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીથી મુંબઈ જતી અકસા એરલાઈન્સની ફ્લાઈટ QP 1719ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદ, દિલ્હી સહિતનાં જુદાં-જુદાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. છેલ્લા બે દિવસ દરમિયાન પણ ફ્લાઇટને આ પ્રકારની ખોટી ધમકીઓ મળી ચૂકી છે. જેમાં ગઈકાલે વારાણસીથી દિલ્હી જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન કોલ આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ફોન કરનારને ઝડપી પાડવામાં આવ્યા હતા. પરંતુ, આ ઘટના વારંવાર થઈ રહી હોવાથી તંત્ર સજાગ બન્યું છે.


આજ સવારે દિલ્હીથી અકસા એરલાઇન્સની ફ્લાઇટ ઉડાન ભરીને મુંબઇ જવા રવાના થવાની હતી પરંતુ, આ ફ્લાઇટ ઉડાન ભરીને સવારે 8.49 કલાકે દિલ્હીથી રવાના થઇ હતી. આ ફ્લાઇટ સવારે 10:45 કલાકે મુંબઈ એરપોર્ટ પહોંચવાની હતી પરંતુ, સવારે 10:13 કલાકે આ ફ્લાઇટને અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. તે પહેલાં કેપ્ટન દ્વારા સંપૂર્ણ પ્રોસિજર પૂર્ણ કરીને ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.


એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું કે, દિલ્હીથી મુંબઈ માટે ટેકઓફ કર્યા બાદ ફ્લાઈટમાં સુરક્ષા એલર્ટ મળ્યું હતું. આ પછી સવારે 10:13 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. હજુ તપાસ ચાલુ છે.


આ ફ્લાઇટમાં 186 મુસાફરો સહિત એક નવજાત બાળક અને 6 ક્રૂ મેમ્બર પણ હાજર હતા. આ ફ્લાઇટને અલર્ટ મળતા અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યા પહેલાં અમદાવાદના આકાશમાં એક ચક્કર લગાવ્યું હતું ત્યારબાદ પરવાનગી મળતા તેનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર તમામ મુસાફરોને નીચે ઉતારીને પ્લેનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં બોમ્બ સ્ક્વોર્ડ સહિત એરલાઇન્સનો સ્ટાફ હાજર રહ્યો હતો. મળતી માહિતી અનુસાર હાલમાં એરક્રાફ્ટમાં કોઈ પણ બોમ્બ હાજર ન હોવાથી સંપૂર્ણ પ્રક્રિયા થયા બાદ ફ્લાઇટને અમદાવાદથી મુંબઈ જવા માટે રવાના કરવામાં આવી.