રિપોર્ટ@ગુજરાત: GSRTC કંડક્ટરની ભરતીને લઈને લાયસન્સ નિયમોમાં મોટો ફેરફાર

બેજ નંબર અને વેલિડિટી દર્શાવવી ફરજિયાત નથી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

GSRTC કંડક્ટરની ભરતીને લઈને લાયસન્સ નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડક્ટરની ભરતી પ્રક્રિયાને લઈને એક ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને એવા ઉમેદવારો, જેમની પાસે હાલમાં કંડક્ટર લાયસન્સ નથી, તેમના માટે એસ.ટી. નિગમે મોટો અને રાહત આપતો નિર્ણય લીધો છે. ગુજરાત એસ.ટી. નિગમ, અમદાવાદની મધ્યસ્થ કચેરી દ્વારા કંડક્ટર કક્ષાની ભરતી માટે નિગમ દ્વારા વર્ષ 2026-27 માટે જાહેરાત ક્રમાંક GSRTC/202627/32 અંતર્ગત કંડક્ટરની ભરતી બહાર પાડવામાં આવી છે.

અત્યાર સુધી ઉમેદવારોમાં મૂંઝવણ હતી કે, ફોર્મ ભરતી વખતે કંડક્ટર લાયસન્સ, આર.ટી.ઓ. એપ્રુવ્ડ બેજ નંબર અને તેની વેલિડિટીની વિગતો આપવી ફરજિયાત છે કે નહીં? આ બાબતે હવે મુખ્ય મહેકમ અધિકારી દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. જે ઉમેદવારો પાસે હાલમાં કંડક્ટર લાયસન્સ ઉપલબ્ધ છે, તેઓ અરજીપત્રકમાં લાયસન્સ નંબર, બેજ નંબર અને વેલિડિટી સહિતની તમામ વિગતો ભરી શકે છે. જે ઉમેદવારો પાસે અત્યારે કંડક્ટર લાયસન્સ હાજરમાં નથી, તેમણે ફોર્મ ભરતી વખતે આ વિગતો દર્શાવવી ફરજિયાત નથી.

નિગમે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે, ઉમેદવારો કંડક્ટર લાયસન્સ, બેજ અને ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ, અરજી કરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગયા બાદ પણ મેળવી શકશે. જોકે, આ તમામ ડોક્યુમેન્ટ્સ જ્યારે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન થાય, ત્યારે ઓરિજિનલ અને વેલિડ સ્વરૂપે અચૂક રજૂ કરવાના રહેશે. આ નિર્ણયથી એવા હજારો યુવાનોને ફાયદો થશે જેઓ લાયસન્સ પ્રક્રિયામાં મોડું થવાને કારણે ફોર્મ ભરવાથી વંચિત રહી જતા હતા.