રિપોર્ટ@ગુજરાત: હેક્ટર દીઠ 22,000ની સહાય માટે 14મી નવેમ્બરના રોજથી ઓનલાઇન ખેડૂતો અરજી કરી શકશે

અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચુકવણા માટેની કાર્યવાહી કરવામાં આવશે.
 
 રિપોર્ટ@ભાવનગર: વરસાદથી કપાસ, મગફળી, ડુંગળીનો પાક નિષ્ફળ, ખેડૂતોએ રાહત પેકેજની માગ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્ય સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવાશે, એમાં 16500 ગામના ખેડૂતોને લાભ મળશે. જેનો સર્વે થયો નથી એ ખેડૂત પણ અરજી કરી શકશે. હવે આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બરના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે.

આ ઐતિહાસિક રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે. https://krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતોને અરજી કરવા માટે VCE/VLE મદદરૂપ થશે.

વરસાદથી થયેલા નુકસાનનો સર્વે-પંચ રોજકામ, મંત્રીઓની અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત અને કૃષિ વિભાગ, મહેસુલ વિભાગ, નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સતત ઉચ્ચ સ્તરિય બેઠકો યોજીને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહિવટી પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન એક અઠવાડિયામાં જ પૂરી કરી દેવાના કિસાન હિતકારી અભિગમને કૃષિ મંત્રીએ વધાવ્યો છે.

કૃષિમંત્રી વાઘાણીએ જણાવ્યું કે, નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચુકવણા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાયે પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા પણ રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત બનાસકાંઠાના વાવ-થરાદ સહિત પાંચ જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તોને પણ પિયત-બિનપિયત સમાન ધોરણે 22 હજાર પ્રતિ હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરી છે. આમ રાજ્યના ખેડૂતો પર આવી પડેલી આફતમાં 11 હજાર 137 કરોડનું રાહત સહાય પેકેજ આપવાનો જે સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે તે માટે પણ ખેડૂત સમાજ વતી આભાર વ્યક્ત કર્યો છે.

કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતાં કહ્યું કે, આ પેકેજનો લાભ મેળવવા માટે 14 નવેમ્બર, શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે. આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ Link: https://krp.gujarat.gov.in પર ગ્રામ પંચાયતના VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ કૃષિમંત્રીએ જણાવ્યું હતું.

 ઠરાવ મુજબના સાધનિક કાગળો સાથે નિયમાનુસાર પાત્રતા ધરાવતા ખેડુતો દ્વારા VCE/VLE મારફત અરજી કરવાની રહેશે. * ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહી. * આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. * આ માટે 16500થી વધુ ગામોનું ઓનલાઈન અરજી માટે પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે.

2020માં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન પેટે એ સમયે સરકારે 3795 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદને કારણે પણ પાકને નુકસાન થતાં સરકારે ખેડૂતો માટે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું, જોકે એ વખતે પંચમહાલ, કચ્છ, વાવ-થરાદ, પાટણ અને જૂનાગઢ એમ માત્ર 5 જ જિલ્લાના માત્ર 18 તાલુકાનો જ સમાવેશ કર્યો હતો. એ અગાઉ પણ ગત વર્ષે ઓક્ટોબર-2024માં કમોસમી વરસાદથી 20 જિલ્લાના 136 તાલુકાનાં 6112 ગામમાં પાકને નુકસાન થયું હતું, જેને કારણે સરકારે 1462 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જો કે 7 નવેમ્બર, 2025ના રોજ 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.