રિપોર્ટ@ગુજરાત: રાજ્યના 206 જળાશયોમાં માત્ર 36.78 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

માસના અંત સુધી ચાલે એટલું જ પાણી ઉપલબ્ધ હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વરસાદની અછતના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.વરસાદ ખેંચાતા જળસંકટ ઘેરાયું છે. 206 જળાશયોમાં માત્ર 36% પાણી:રાજ્યમાં ગયા વર્ષ કરતાં 4.44% સંગ્રહ ઘટ્યો. 126 ડેમમાં 25%થી પણ ઓછું પાણી.

રાજ્યમાં ચોમાસાની શરૂઆત છતાં જળાશયોમાં પાણીનો સંગ્રહ હજુ પણ ચિંતાજનક સ્થિતિમાં છે. રાજ્યના 206 જળાશયોમાં હાલ માત્ર 36.78 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયે 41.22 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો હતો. 206 જળાશયોમાં માત્ર 36.78% પાણી બચ્યું છે.

સરદાર સરોવર ડેમમાં હાલ 65.36 ટકા પાણી છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમોમાં સરેરાશ 48 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. હાલની સ્થિતિ મુજબ રાજ્ય પાસે જુલાઈ માસના અંત સુધી ચાલે એટલું જ પાણી ઉપલબ્ધ હોવાનું ચિત્ર સામે આવ્યું છે.

રાજ્યના 206 ડેમોમાંથી એક પણ ડેમ 100 ટકા ભરાયો નથી. માત્ર 7 ડેમોમાં 70થી 100 ટકા પાણી છે, જ્યારે 20 ડેમોમાં 50થી 70 ટકા, 53 ડેમોમાં 25થી 50 ટકા અને સૌથી વધુ 126 ડેમોમાં 25 ટકાથી પણ ઓછું પાણી છે. ઝોનવાર સ્થિતિમાં મધ્ય ગુજરાતના ડેમોમાં 53 ટકા અને ઉત્તર ગુજરાતમાં 40 ટકા પાણી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 35 ટકા, સૌરાષ્ટ્રમાં 27 ટકા અને કચ્છમાં પણ 27 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે.

વિસ્તારવાર આંકડાઓ મુજબ મધ્ય ગુજરાતની 17 યોજનાઓમાં 52.62 ટકા પાણીનો સંગ્રહ છે, જે ગયા વર્ષે 44.17 ટકા હતો. ઉત્તર ગુજરાતની 15 યોજનાઓમાં 40.87 ટકા પાણી છે, જે ગયા વર્ષે 26.95 ટકા હતું. જોકે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વિપરીત છે, જ્યાં 13 યોજનાઓમાં હાલ 34.79 ટકા પાણી છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયે 41.77 ટકા હતું. કચ્છની 20 યોજનાઓમાં 27.09 ટકા અને સૌરાષ્ટ્રની 141 યોજનાઓમાં માત્ર 27.21 ટકા પાણીનો જથ્થો છે, જે ગયા વર્ષના 46.71 ટકાની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.

રાજ્યમાં ચોમાસાની ગતિ આગામી દિવસોમાં કેવી રહે છે તેના પર જળાશયોની સ્થિતિનો મોટો આધાર રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પાણીના નીચા સંગ્રહને કારણે આગામી અઠવાડિયાઓમાં સારો વરસાદ થાય તે અત્યંત જરૂરી બન્યું છે. પાણીના આંકડાઓએ રાજ્યના જળ વ્યવસ્થાપન અને વરસાદી પરિસ્થિતિ અંગે ચિંતા વધારી છે.

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત વર્ષે 21 જૂન પૂર્વે નોંધપાત્ર વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ હતી અને જમીનમાં તળ પણ જીવંત થયા હતા તેમજ જળાશયોમાં પણ નવા નીરની આવક થઇ ચુકી હતી જેની સામે આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળમાંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

હાલની સ્થિતિએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડેમોમાં ડેમોની સ્થિતિ જોતા રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફત લિંક 2, 3, અને 4 મારફત નર્મદાનું પાણી છોડી પીવાનું પાણી પૂરું પાડવા સૂચના આપવામાં આવી છે. જેની સાથે સાથે કોઈ જગ્યાએ સિંચાઈ માટે ડિમાન્ડ જણાઈ તો સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવા આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટના જળાશયોમાં સરેરાશ 24%, મોરબીના જળાશયોમાં સરેરાશ 23%, દ્વારકાના જળાશયોમાં સૌથી ઓછું 2.85%, જામનગરના જળાશયોમાં 12% અને સુરેન્દ્રનગરના જળાશયોમાં સરેરાશ 28% જ પાણી ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે.