રિપોર્ટ@ગુજરાત: રાજકારણમાં ખળભળાટ: વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની કોર્ટે સજા ફટકારી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા કોર્ટે ફટકારી.સેશન્સ કોર્ટે વસાવાની પત્ની સહિત તમામ 9 આરોપીને 25 હજારનો દંડ પણ ફટકાર્યો, ધારાસભ્ય પદ ખતરામાં.ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો છે.
MLA ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીને 7 વર્ષની કેદ અને રૂ.25 હજારનોનો દંડ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય પર આરોપ હતો કે, તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો. આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો છે.
સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદેસર વાવેતર દૂર કર્યું હતું. આ બાબતને લઈ ચૈતર વસાવાએ તે કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને ધાક-ધમકી આપી, હવામાં ગોળીબાર કર્યો અને ધોલધપાટ કરી હતી.
તેના બીજા જ દિવસે ચૈતર વસાવાના PA અને અન્ય લોકોએ કર્મચારીઓ પાસે ₹30,000-₹30,000 મળીને કુલ ₹60,000ની ખંડણી માંગી હતી. ફોરેસ્ટ કર્મચારીઓ પાસે પૈસા ન હોવાથી તેમણે ATMમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ પૈસા ન નીકળતાં તેમણે પોતાના ઉપરી અધિકારીને ફોન કર્યો હતો અને અધિકારીએ ઓનલાઇન ₹30,000-₹30,000 ટ્રાન્સફર કર્યા હતા, જે પુરાવા તરીકે મળી આવ્યા છે.
આ કેસની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી હતી, જેમાં તમામ સરકારી સાક્ષીઓ અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે આજે 5 પુરુષ અને 4 સ્ત્રી સહિત કુલ 9 આરોપીને દોષી જાહેર કરીને 7 વર્ષની કેદની સજા તથા ₹25,000નો દંડ ફટકાર્યો છે.
હાલમાં તમામ આરોપીઓને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કરાયો છે. વધુમાં આરોપીઓ તરફથી નર્મદા જિલ્લાના વાતાવરણને ડોળવામાં ન આવે તે કારણે અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવાની અરજી કરવામાં આવી છે. તેમજ આરોપીઓ પૈકી એક સગર્ભા મહિલા છે અને એક મહિલાને નવજાત બાળક હોવાથી, બાળકને જેલમાં સાથે રાખવાની અરજી તેમના વકીલ દ્વારા કરવામાં આવી છે.
વકીલે એ પણ સ્પષ્ટ કર્યું કે, આરોપીઓ અગાઉ એક કેસમાં એક વર્ષના પ્રોબેશન પિરિયડ પર મુક્ત થયા હતા અને તે પિરિયડ પૂરો થતાં જ ફરીથી ગુનાઓ આચર્યા હોવાથી કોર્ટે આ તમામ બાબતોને ધ્યાને રાખીને આ સજા ફટકારી છે.
આ કેસમાં માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ તેમના પત્ની સહિત કુલ 9 આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરી ધમકાવવાના ગંભીર આક્ષેપો હેઠળ આ ગુનો નોંધાયો હતો.
હું સામેથી સરેન્ડર થવા આવ્યો છું. બધાને કહેવા માગું છું કે, હું અને મારો પરિવાર આદિવાસી સમાજ, નવયુવાનો, શિક્ષિતો અને પીડિતોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ. બંધારણથી ચાલતી દેશની ન્યાયપ્રણાલી આ સંદર્ભે ન્યાય આપશે એનો મને વિશ્વાસ છે.
વનકર્મીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

