રિપોર્ટ@ગુજરાત: મહિલાએ ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. સત્યનારાયણ નગર શેરી નં.03માં રહેતી કવિતાબેન મોહિતભાઈ રાઠોડ (ઉ.વ.23) ગઈકાલે રાતે 9 વાગ્યાની આસપાસ પોતે તેના 8 માસના પુત્ર સાથે ઘરે હતી ત્યારે પોતાના બાળકને ઘર બહાર પાડોશી પાસે રમવા મૂકી આવી પોતાના રૂમમાં પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બાદમાં ઘર બહાર બેસેલા પાડોશીએ ઘરમાં તપાસ કરતાં પરિણીતા લટકેલી હાલતમાં જોવા મળતાં 108ને જાણ કરી હતી. 108ના ઇએમટી પ્રિયલબેન સોલંકીએ પરિણીતાને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતાં. આ બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મૃતક મૂળ દિલ્હીની વતની હતી અને તેણીએ મોહિત સાથે અઢી વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતાં. લગ્નગાળા દરમિયાન સંતાનમાં એક 8 માસનો પુત્ર છે. તેમજ તેને પતિ સાથે થતાં ગૃહક્લેશથી કંટાળી અંતિમ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. મૃતકના દિલ્હી રહેતા માતાપિતા આવ્યાં બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બનાવથી માસૂમ પુત્ર માતાવિહોણો થતાં પરીવારમાં આક્રંદ છવાયો હતો.