રિપોર્ટ@ગુજરાત: બીજા નોરતે રસિયો રૂપાળો રંગ રેલીયા સોન્ગ પર ખેલૈયાઓને ડોલાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવરાત્રિના પવિત્ર તહેવારની શરૂવાત થઈ ગઈ છે. આ તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રિના બીજા નોરતે સમગ્ર રાજ્યમાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજટોક સહિતના શહેરોમાં ખેલૈયાઓ જોમ-જુસ્સા સાથે ગરબા રમવા પહોંચ્યા હતા. મુંબઇમાં એશ્વર્યા મજમુદારે રસિયો રૂપાળો રંગ રેલીયા સોન્ગ પર ખેલૈયાઓને ડોલાવ્યા હતા તો વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં વિદેશી ડેલિગેટ્સ પણ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ગાંધીનગર શેરી અફેર્સના પાસના રૂ.12,000 ખર્ચ્યા છતાં ખેલૈયા ટ્રાફિકજામમાં ફસાયા અને કેટલાકને તો ચાલતા-ચાલતા જવું પડ્યું હતું.
રાજકોટમાં ગેલેક્સી ગરબી મંડળની બાળકીઓ દ્વારા તલવાર રાસ સહિતના વિવિધ રાસ પરફોર્મન્સ રજૂ કર્યા હતા. આ ઉપરાંત મન મોર બની થનગાટ કરે... સહિતના વિવિધ સોન્ગ પર ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. અમદાવાદના SG હાઈવે પર ટ્રાફિકજામ થતાં વાહનચાલકો ફસાયા હતા.
નોરતા નગરીમાં કિર્તીદાન ગઢવીની રોયલ એન્ટ્રીથી ખેલૈયા ઘેલા થયા હતા. ગરબા રમ્યા બાદ ખેલૈયાઓ અમદાવાદના માણેકચોક સહિતની ખાણી-પીણીની બજાર-સ્ટોલ પર ઉમટી પડ્યાં હતાં અને વિવિધ વાનગીઓની જયાફત માણી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના બીજા નોરતે તેમના વતન માણસા ખાતે પહોંચ્યા હતા, જ્યાં પરિવાર સાથે તેમણે કુળદેવીના દર્શન કર્યા હતા.