રિપોર્ટ@અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન
ફિલ્મ એક્ટર વિવેક ઓબેરોયે રક્તદાન કર્યું, મુખ્યમંત્રી-રાજ્યપાલ બ્લડ ડોનેટ કરનારને મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ 75મા જન્મદિવસ છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘રક્તદાન અમૃત મહોત્સવ 2.0’ અંતર્ગત વિશ્વનું સૌથી મોટું મેગા બ્લડ ડોનેશન કેમ્પ ભવ્ય રીતે શરૂ કરવામાં આવ્યું. સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા- અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અને અલગ-અલગ 50 સંસ્થા સાથે મળીને રક્તદાન અમૃત મહોત્સવ 2.0" અંતર્ગત અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. એક જ દિવસમાં 5 લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે. સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી એમ 12 કલાક આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રહેશે.
CM-રાજ્યપાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસર પર અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ-2.0 અંતર્ગત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વની સૌથી મોટી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોદીજીના 'સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
મોદીને તેમના જન્મદિવસ પર દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. કોંગ્રેસના રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ પણ X પર એક પોસ્ટ દ્વારા વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી.CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક લોકો પણ આ બ્લડ કેમ્પમાં હાજરી આપશે. ભારત અને 75થી વધુ દેશોમાં 7500થી વધુ રક્તદાન કેમ્પનું એકસાથે આયોજન કર્યું છે. મેગા બ્લડ કેમ્પમાં જે બ્લડ એકત્રિત કરવામાં આવશે એ ગુજરાતની તમામ બ્લડ બેંકોમાં મોકલવામાં આવશે અને ત્યાંથી પ્રોસેસ કરીને જે પણ વ્યક્તિને આ બ્લડની જરૂર હશે એ બ્લડ પહોંચાડવામાં આવશે. ગુજરાતમાં 200થી વધારે બ્લડ બેંકો છે ત્યારે વડોદરા, સુરત, રાજકોટ વગેરે બ્લડ બેંકો આમાં જોડાશે.

