રિપોર્ટ@મુંબઈ: એક જ પરિવારના 4 સભ્યોના તરબૂચ ખાવાથી મોત નીપજ્યા, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુંબઈમાં તરબૂચ ખાવાથી પતિ-પત્ની, 2 દીકરીઓના મોત નીપજ્યા હતા.મુંબઈના જે.જે. માર્ગ વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યોના તરબૂચ ખાવાથી મૃત્યુ થયા. મૃતકોમાં અબ્દુલ્લા અબ્દુલ કાદર (40), તેમની પત્ની નસરિન (35) અને તેમની પુત્રીઓ ઝૈનબ (13) અને આયેશા (16)નો સમાવેશ થાય છે. પોલીસે ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 25 એપ્રિલે પરિવારે પોતાના ઘરે એક ગેટ-ટુગેધર પાર્ટી રાખી હતી. જેમાં કેટલાક સંબંધીઓ આવ્યા હતા. પરિવારે મહેમાનો સાથે બિરયાની ખાધી હતી. ત્યારબાદ દંપતી અને તેમની બંને પુત્રીઓએ તરબૂચ ખાધું.
ત્યારબાદ તેમની તબિયત બગડી. તમામને પહેલા એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ હાલત ગંભીર થતાં તેમને જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન એક પછી એક પરિવારના ચારેય સભ્યોના મોત થયા.
NDTVના રિપોર્ટ અનુસાર, અબ્દુલ્લા મોબાઈલ એક્સેસરીઝની દુકાન ચલાવતા હતા. શનિવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે અબ્દુલ્લાના ઘરે પાંચ સંબંધીઓ ડિનર માટે ભેગા થયા હતા. ખાવામાં બિરયાની હતી. ડિનર પછી સંબંધીઓ પોતાના ઘરે પાછા ફર્યા.
અબ્દુલ્લા, તેમની પત્ની કે દીકરીઓને કોઈ તકલીફ નહોતી. ત્યારબાદ પરિવારે રાત્રે લગભગ 1 વાગ્યે તરબૂચ ખાધું. સવારે લગભગ 5 વાગ્યે તેમની તબિયત બગડવા લાગી. તેમને ઉલટી અને ઝાડા થવા લાગ્યા.
શરૂઆતમાં એક સ્થાનિક ડોક્ટરે તેમની સારવાર કરી, પરંતુ હાલત બગડતાં તેમને જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સારવાર દરમિયાન નાની દીકરી ઝૈનબનું સવારે લગભગ 10:15 વાગ્યે મૃત્યુ થયું. તેની માતા અને મોટી બહેન પછી પિતાનું મૃત્યુ રવિવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે થયું.
પરિવારની સારવાર કરનાર ડો. ઝિયાદ કુરેશીએ જણાવ્યું કે બધાની હાલત ખૂબ જ ખરાબ હતી. ડોક્ટરના મતે, પરિવારે પોતે જ જણાવ્યું કે બધા લોકોએ તરબૂચ ખાધું હતું, જેના કારણે તેમની તબિયત બગડી ગઈ છે.
પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ દરમિયાન શરીરમાંથી લેવાયેલા સેમ્પલ આગળની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઘરમાંથી અડધું ખાધેલું તરબૂચ પણ જપ્ત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યું છે.

