રિપોર્ટ@રાજકોટ: બેકાબૂ રોગચાળાના કારણે વધુ એક યુવકનું મોત થતાં હાહાકાર મચ્યો
તાવના 54 અને ઝાડા ઉલટીના 180 કેસ સામે આવ્યાં
Oct 31, 2023, 12:40 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ શહેરમાં રોગચાળો જીવલેણ સાબિત થયો છે. રાજકોટમાં બેકાબૂ રોગચાળાએ વધુ એક યુવકનો ભોગ લીધો છે. રાજકોટ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. સતત વકરી રહેલા રોગચાળાને કારણે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. ત્યારે વધુ એક યુવકનું ઝાડા ઉલટીને કારણે મોત થતાં હાહાકાર મચ્યો છે.
બે દિવસથી સારવાર લઇ રહેવા યુવકનું ઝાડા ઉલટીને કારણે મોત થયું હોવાનું સામે આવ્યુ છે. રોગચાળાને કારણે વધી રહેલી મોતની સંખ્યાને લઇ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલી રોગચાળાની કેસની વાત કરીએ તો એક જ અઠવાડિયામાં શહેરમાં શરદી અને ઉધરસના 822 કેસ નોંધાયા છે. તો તાવના 54 અને ઝાડા ઉલટીના 180 કેસ સામે આવ્યાં છે. જ્યારે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના આઠ આઠ અને મેલેરિયાનો એક કેસ નોંધાયો છે.