રિપોર્ટ@રાજકોટ: બાળક રમતાં-રમતાં પથ્થર ગળી ગયું, જાણો વધુ વિગતે

બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી
 
રિપોર્ટ@રાજકોટ: બાળક રમતાં-રમતાં પથ્થર ગળી ગયું, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ગંભીર પરિસ્થિતિ સર્જાય શકે તેવો જ એક કિસ્સો તાજેતરમાં રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં દોઢ મહિના પહેલાં અઢી વર્ષનો બાળક રમતાં રમતાં પથ્થર ગળી ગયો હતો અને શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. આ કારણે બાળકને દોઢ મહિનાથી કફ મટતો નહોતો. ધીમે-ધીમે ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. એક સમયે બાળકનું ઓક્સિજન લેવલ 70 ટકા થઈ જતાં માતા-પિતા ચિંતામાં મુકાયાં હતાં અને તુરંત બાળકને રાજકોટ હોસ્પિટલ લાવ્યાં હતાં. રાજકોટની હોસ્પિટલમાં નિદાન કરતા પથ્થર શ્વાસનળીમાં ફસાયો હોવાનું માલૂમ પડ્યું હતું. આથી ડોક્ટરે દૂરબીન વડે જટિલ સર્જરી કરી પથ્થર બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું હતું. 18 એપ્રિલે ઓપરેશન થયા પછી બાળકને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હતો. સંપૂર્ણ રીતે સ્વસ્થ થતાં ગઈકાલે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.


રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત ડો. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં આ કેસ સામે આવ્યો હતો. જેમાં ખરેડીના કેતનભાઈ સરેસિયાના અઢી વર્ષના પુત્ર માધવને છેલ્લા દોઢ મહિનાથી ઉધરસ અને કફ મટતો નહોતો. અનેક ડોક્ટરો પાસે તપાસ કરાવી અને રિપોર્ટ કરાવ્યા. પરંતુ કોઈ ફરક ન જણાતા ફેફસાંનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. જેમાં માલૂમ પડ્યું કે, બાળકની શ્વાસનળીમાં જમણી બાજુ છેક ઊંડે ફેફસાંની નજીક કંઈક ફસાયેલ છે અને તેના જમણા ફેફસાંમાં બિલકુલ હવા જતી નહોતી અને ફેફસાંમાં ચેપ પણ લાગી જતાં બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. એટલું જ નહીં ઓક્સિજનનું લેવલ માત્ર 70 ટકા થઈ જવાની સાથે જ SPO2નું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું હતું. આવી ગંભીર પરિસ્થિતિમાં બાળકના વાલીઓને પૂછતાં માલૂમ પડ્યું કે, આશરે દોઢ મહિના પહેલાં પથ્થર ગળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બાળકના વાલીઓને શ્વાસનળીમાં દૂરબીનથી તપાસ કરવા માટે સમજાવ્યા હતા તુરંત ડોક્ટરે બાળકને ઓપરેશનમાં લઈ ગયા હતા. શ્વાસનળીમાં દૂરબીન વડે તપાસ કરતા જાણવા મળ્યું કે, પથ્થર શ્વાસનળીની દીવાલ સાથે ચોંટી ગયો છે અને આજુબાજુ કફ પણ છે. શ્વાસનળીની દીવાલ પર સોજો પણ આવી ગયો હતો. તુરંત જ દૂરબીન વડે પથ્થર અને કફ બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.


ડો. હિમાંશુ ઠક્કરના જણાવ્યા મુજબ, આ ઓપરેશનને બ્રોનકોસ્કોપી કહેવાય છે. નાનાં બાળકોની શ્વાસનળી ખૂબ જ નાજુક અને સાંકડી હોય છે. તેમાં માત્ર 3MMનું દૂરબીન ઉતારી ફસાયેલી વસ્તુ ગણતરીની મિનિટોમાં કાઢી આપવી એ ખૂબ જ કુનેહ અને નિપુણતા માગી લે છે. આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે, બાળકની ઉંમર માત્ર અઢી વર્ષની હતી, પથ્થર જેવી ધારદાર વસ્તુ જે શ્વાસનળીની દીવાલને નુકસાન કરે અને કાઢતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે. કેમ કે, પથ્થર શ્વાસનળીની દીવાલ ચીરી નાખે તો જીવનું જોખમ થાય તેમ હતું. બાળકના પિતા કેતનભાઈના જણાવ્યા મુજબ, આવું ગંભીર પરિણામ આવશે તેવી અમને કલ્પના પણ નહોતી. ફસાયેલી વસ્તુ ખૂબ જ ઊંડે શ્વાસનળીમાં છેક ફેફસાંની નજીક હતી જેનાથી બાળકની હાલત અત્યંત ગંભીર હતી. બાળકના જીવનું જોખમ હતું. ડોક્ટરે સફળ ઓપરેશન કરી મારા પુત્રને નવજીવન આપ્યું છે, આ વાલીઓ માટે ખૂબ ચેતવણીરૂપ કિસ્સો છે. નાનાં બાળકો આવી કોઈ વસ્તુ મોંમાં ન નાખી દે તેનું ધ્યાન રાખવું જોઈએ.