રિપોર્ટ@સુરતઃ નવા બનેલા રોડના ભુવામાં સીટી બસ ગરકાવ, જાણો સમગ્ર ઘટના વિશે

વરસાદે જ પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે ‘પ્રિ-મોન્સૂન કામગીરી’ અને રોડ રિપેરિંગના મોટા-મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતના પ્રથમ તબક્કાના વરસાદે જ પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે.

શહેરના પાંડેસરા અને પાલ-ઉમરામાં બનેલી બે મોટી ઘટનાએ પાલિકા અને કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારીને સપાટી પર લાવી દીધી છે. થોડા સમય પહેલાં જ બનેલા રસ્તાઓ ધોવાઈ જતાં અને બેસી જતાં જનતાના ટેક્સના પૈસાનું પાણી થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

પાંડેસરા ગણેશનગર વિસ્તારમાં મુસાફરો ભરેલી સીટી બસ રોડ પર પડેલા વિશાળ ભુવામાં ગરકાવ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 7 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતાં તંત્ર દોડતું થયું છે.

મળતી માહિતી અનુસાર, સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણેશનગર, પાંડેસરા રોડની નીચેની માટી બેસી ગઈ હતી અને રસ્તા વચ્ચોવચ એક વિશાળ અને ઊંડો ભુવો પડી ગયો હતો. રોડ પર પડેલા આ ભુવાની ભયાનકતાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે આ ભુવો એટલો મોટો હતો કે કોઈ પણ વાહનને આખેઆખું ગળી જાય. પહેલા ટેમ્પો અને પછી મુસાફરો ભરેલી બસ ગરકાવ થઈ હતી. માત્ર એટલું જ નહીં, ગણેશનગરમાં ભુવો પડ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા ત્યાં કોઈ બેરિકેડિંગ કે ચેતવણીનું બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું.

રસ્તા પરથી પસાર થઈ રહેલો એક નેનો ટેમ્પો આ ખાડાની ઝપટમાં આવી ગયો હતો અને તેનો આગળનો ભાગ ભુવામાં ગરકાવ થઈ ગયો હતો. ટેમ્પોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ પાછળથી મુસાફરોથી ભરેલી સુરત મહાનગરપાલિકાની સીટી બસ ત્યાંથી પસાર થઈ હતી. રોડ એટલી હદે પોચો થઈ ગયો હતો કે બસનું ટાયર પડતાં જ રોડ વધુ બેસી ગયો અને આખી બસ ભુવામાં ખાબકી હતી.

બસ એકાએક નમી પડતાં અંદર બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ અને ભારે નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાચ તોડીને તેમજ દરવાજામાંથી મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કુલ 7 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાના અહેવાલ છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પાંડેસરાની આ ગંભીર ઘટના બાદ તુરંત જ શહેરના અન્ય પોશ ગણાતા વિસ્તાર પાલ-ઉમરા બ્રિજ પાસે પાલિકાનું પાપ છતું થયું હતું. પાલ-ઉમરા બ્રિજ નજીકના રોડ પર મહાનગરપાલિકા દ્વારા લાઈન નાખવા કે અન્ય કોઈ કામ અર્થે તાજેતરમાં જ મોટું ખોદકામ કરવામાં આવ્યું હતું. વહીવટી નિયમો અનુસાર, ખોદકામ કર્યા બાદ રોડનું પ્રોપર પુરાણ  કરવું ફરજિયાત હોય છે, જેથી વાહનોની અવરજવરથી રોડ બેસી ન જાય.

વરસાદ થતાં જ ખોદકામ વાળી જગ્યા કાદવ-કીચડમાં ફેરવાઈ ગઈ હતી અને જમીન પોચી થઈ ગઈ હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી સુરત પાલિકાની જ BRTS બસ આ અધૂરા પુરાણવાળા રોડ પર ફસાઈ ગઈ હતી. બસના વ્હીલ જમીનમાં ઊંડે સુધી ખૂંપી જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. ક્રેનની મદદથી ભારે જહેમત બાદ બસને બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.