રિપોર્ટ@સુરત: એકજ પરીવારના સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો, 3 લોકોના મોત, કયા કારણે આવું પગલું ભર્યું ?

પોલીસ તપાસમાં ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુંદ ખેતાન નામના વ્યક્તિએ ગઇકાલે સાંજે પરિવાર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. વૈભવ રુંગટા નામના શખ્સની ઉઘરાણીથી ત્રાસીને પરિવારે ઝેરી દવા પી લેતા બાલમુકુંદ ખેતાનનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતુ જ્યારે પત્ની અને એક માસૂમ દીકરીનું આજે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું, જ્યારે બીજી દીકરીનો સદનસીબે બચાવ થયો છે.

પોલીસ તપાસમાં ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં વૈભવ રુંગટા નામના શખ્સની ઉઘરાણીથી ત્રાસી આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. હાલ વેસુ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ બિહારના વતની અને છેલ્લાં બે વર્ષથી ઘેરબેઠાં શેરબજારનું કામ કરતા બાલમુકુન્દ ખેતાને પોતાના પરિવાર સાથે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી ત્રણ પાનાંની એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં આ અંતિમ પગલું ભરવા પાછળનાં ગંભીર કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુસાઇડ નોટમાં જણાવ્યા અનુસાર, આરોપી વૈભવ રુંગટાએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધાં હતાં અને તે કાર્ડથી બિનજરૂરી શોપિંગ પણ કરી હતી. આ માનસિક અને આર્થિક ત્રાસને કારણે પરિવારે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે.

મૃતકના પારિવારિક મિત્ર સંજ્ય અગ્રવાલે જણાવ્યું કે સુસાઇડ નોટમાં વૈભવ રુંગટાનું નામ લખેલું છે. મને ગઈકાલે સાંજે 4:11 વાગ્યે મૃતકની દીકરીનો ફોન આવ્યો કે પપ્પા જમીન પર પડેલા છે, તો જલ્દી આવો.

મેં પહેલા દુકાનેથી ફોન કરીને પત્ની અને પુત્રને મોકલ્યા અને પછી હું પણ ભાગતો આવ્યો.મેં આવીને જોયું તો ખેતાનજી જમીન પર પડેલા હતા. તેમની દીકરી પણ એવી જ હાલતમાં હતી. પછી ફટાફટ બધાને ગ્રીન લીફ હોસ્પિટલ લઈ ગયા.

આ અંગે વેસુ પોલીસ સ્ટેશનના PI જે.સી.જાધવએ જણાવ્યું કે ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશનને એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં, એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોલીસે સ્થળ પર પહોંચી જોયું તો બાલમુકુંદ ખેતાન નામના વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું અને 108 દ્વારા એની પુષ્ટિ કરવામાં આવી હતી.

બાદમાં એમના પત્ની પ્રિયંકાબેન અને ભવ્યા અને પાર્થવી નામના બે બાળકો છે, એમને દવાખાને એડમિટ કરવામાં આવ્યા હતા. જે પૈકી પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયું છે.

આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રૂંગટા નામના એક વ્યક્તિની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. જેમના ત્રાસથી આપઘાત કરેલો છે એવી એક સુસાઈડ નોટ એમના પરિવારજનોને મળેલી છે, એના આધારે અમે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે અને હાલ તપાસ ચાલુ છે.