રિપોર્ટ@સુરત: તબેલામાં ઝેરનો વ્યાપાર, રૂ.1200નું ઘી માત્ર 300માં વેચાતું, પોલીસે દરોડો પાડી 319 કિલો જપ્ત કર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી નકલી ઘી ઝડપાયું છે. શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડો પાડીને મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યું છે. આ સાથે 856 કિલો વેજીટેબલ-સોયાબીન ઓઈલ જપ્ત કરવામાં આવ્યું હતું. મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખસની અટકાયત કરી છે.
લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, લસકાણા ગામમાં આહીર સમાજની વાડી પાછળ આવેલી પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ ગંભીર માહિતીને આધારે પોલીસે તુરંત એક્શન લીધા હતા અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત રીતે આ સ્થળ પર દરોડો પાડ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, પકડાયેલો આરોપી અલ્પેશ ઇશ્વરભાઇ સાંથલીયા અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો. તે વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલને મિશ્રિત કરતો હતો. તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો હતો. તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજનલ ઘી બનતું, તેને પણ આ મિશ્રણમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોને છેતરતો હતો.
દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી સામાન જપ્ત કર્યો છે. જેમાં ભેળસેળયુક્ત ઘી 319.54 કિલો , વેજીટેબલ/સોયાબીન ઓઈલ 856 કિલો, એસેન્સ તથા અન્ય સાધન સામગ્રી કિં.રૂ. 6,380નો સમાવેશ થાય છે. કુલ મુદ્દામાલ રૂ. 2,11,865નો પોલીસે જપ્ત કર્યો છે.

