રિપોર્ટ@સુરત: પ્રસાદીમાં ઝેર ભેળવી પરિવારને ખતમ કરવાના કેસમાં ઘટસ્ફોટ, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના લાડુમાં ઝેર ભેળવીને આખા પરિવારને ખવડાવવા કેસનું રહસ્ય હવે ઉકેલાઈ ગયું છે.ઉત્રાણની 'શાલીગ્રામ સ્ટેટ્સ' જેવી પોશ સોસાયટીમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન 'પ્રસાદ'નો ઉપયોગ કરી ગોરધનભાઈ ડોંડાના પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પૂર્વઆયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં જેની પર શંકા હતી એ જ મહિલા આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે ઉષાબેન મહેન્દ્રભાઇ નાકરાણી સામે BNS 123 હેઠળ ગુનો નોંધ્યો છે.
ગોરધન ડોંડાના પુત્રવધૂ કિરણ ડોંડાએ ત્રણ દિવસ પહેલાં ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમને સામેવાળા પર પહેલેથી જ ડાઉટ હતો, કેમ કે તેમની છોકરીને લઈને મારી સાથે થોડુંક વધારે વેર હતું. તેમની ભાગી ગયેલી છોકરી મને ફોન કરતી હતી, એ એને નહોતું ગમતું.એની છોકરીએ મને સામે ચાલીને ફોન કર્યો હતો, મને તો ખબર પણ નહોંતી. એમને વહેમ છે કે, મેં તેમની છોકરીને ભગાડી છે, એટલે આવું કર્યું.
ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, 10 એપ્રિલના રોજ પ્રસાદીના લાડુમાં ઊંઘની ગોળીઓ નાખીને ત્યારબાદ ડોંડા પરિવારના ઘરના ઉંબરામાં મૂકી દીધા હતા. ઊંઘની ગોળીઓ લાડુમાં ભળી જતા ડોંડા પરિવારના ગોરધનભાઈ અને તેમની પુત્ર વધુને અસર થઈ હતી. ડોંડા પરિવાર દ્વારા તેમના જ પાડોશી નાકરાણી પરિવાર પર શંકા કરવામાં આવતા પોલીસે આ બાબતે પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછ ઉષાબેન ભાંગી પડ્યા અને લાડુમાં ઊંઘની ગોળીઓ ભેળવી હોવાની કબુલાત કરી હતી. ઉષાબેન નાકરાણીની દીકરી આઠ મહિના પહેલા ઘરેથી ભાગી જઈને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેમાં ડોંડા પરિવારનો હાથ હોવાની ઉષાબેનને શંકા હતી.
10 એપ્રિલના બપોર બાદ ગોરધનભાઈ ઘરે પરત ફર્યા, ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાના ઉંબરામાં એક થેલી પડી હતી. થેલી ખોલીને જોતા તેમાં બુંદીના લાડુ હતા. સામાન્ય રીતે ગુજરાતી સંસ્કૃતિમાં કોઈ પણ શુભ પ્રસંગ કે માનતા પૂરી થતા પાડોશીઓ પ્રસાદ વહેંચતા હોય છે, જેથી ગોરધનભાઈને કોઈ શંકા ગઈ નહોતી અને તેઓ આ 'પ્રસાદ' સમજીને ઘરમાં લઈ ગયા હતા.
ઘરમાં ગોરધનભાઇ અને તેમની પુત્રવધુએ આ લાડુ ખાધા હતા. જોકે, લાડુ ખાધાની ગણતરીના સમયમાં જ બંનેને તીવ્ર ચક્કર, સતત ઉલટીઓ, ગભરામણ, બેચેની થવી અને બેભાન થઈ જવા જેવી અસરો શરૂ થઈ હતી. સ્થિતિ ગંભીર જણાતા ત્રણેયને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઝેરનું પ્રમાણ વધુ હોવાને કારણે ગોરધનભાઈની સ્થિતિ અત્યંત નાજુક થઈ ગઈ હતી અને તેઓ વેન્ટિલેટર પર મૂકી દેવાયા હતા.
હોસ્પિટલમાં સારવાર લઈ ઘરે પરત ફરેલા કિરણબેન નિલેશભાઈ ડોંડા (પુત્રવધુ)એ જણાવ્યું કે, મારા સસરા ઘરે આવ્યા ત્યારે પેસેજમાં કોઈ 'પ્રસાદી' જેવું મૂકી ગયું હતું. હવે આપણને તો એમ જ હોય કે કોઈ પ્રસાદી આપી ગયું હશે, એટલે તે અંદર લઈને આવ્યા અને પ્રસાદી માનીને ખાધી. તેઓ ખાઈને નીચે ગયા, પછી હું પાણી પીવા ઊભી થઈ ત્યારે મેં પણ થોડી ચાખી. મેં મારા મમ્મીને પણ ખાવા કહ્યું, પણ તેમણે ના પાડી એટલે એ પણ મેં જ ખાઈ લીધી.
થોડી વાર પછી ફોન આવ્યો કે, પપ્પાને કંઈક તકલીફ થઈ છે. મેં ફોન મૂક્યો ત્યાં તો મને પણ તેની અસર થવા માંડી હતી. તે દિવસે આમ પણ મારી તબિયત સારી નહોતી, પણ પછી તો હું સાવ ઢળી જ ગઈ. હું ઊભી થવા માંગતી હતી પણ મારાથી ઊભું પણ નહોતું થવાતું. મારી દીકરીએ પછી તેના પપ્પાને ફોન કર્યો અને અમે 108 દ્વારા કિરણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
જ્યારે મારી દીકરીએ અને મેં અંદર જોયું ત્યારે ખબર પડી કે આમાં તો ગોળીઓ જેવું કંઈક છે, પણ ત્યાં સુધીમાં તો અમે તે ખાઈ લીધું હતું. પછી મારી છોકરીએ વધેલા લાડું કચરામાં નાખી દીધા. પછી પાછો એ લાડવો બહાર કાઢીને ફોટો એના પપ્પાને મોકલ્યો.આટલા વર્ષ થયા અમારે કોઈના સાથે દુશ્મની નથી.
મારા ઘરની એણે પથારી ફેરવી નાખી! એને કરવું હતું તો મને લાફા મારી ગયા હોત, પણ આવું ન કરાય ને. આ તો ઠીક છે વધારે નહોતો ખાધો, બાકી તો અમે મરી જ જાત. અમારે પહેલા રિલેશન બહુ જ સારા હતા, પણ હવે આ રીતનું થયું એટલે બંધ થઈ ગયા.
ગોરધનભાઈ ડોંડાએ જણાવ્યું હતું કે, 10 તારીખે 3 વાગ્યે ઘરે આવ્યો એટલે હું લાડું પ્રસાદી સમજીને ઘરમાં લઈ ગયો અને ડાઇનિંગ ટેબલ ઉપર મૂક્યું. પછી મેં આમાંથી એક બટકુ ખાધું અને મારી દીકરાની વહુએ એક બટકુ ખાધું. ત્યાર પછી કલાકે મને અસર થઈ. તે પછી તો હું નીચે ગયો હતો અને તબિયત બગડી હતી. મારી સાથે જે બધા બેઠા હતા એ મને દવાખાને લઈ ગયા. મારા બન્ને છોકરાઓ ફેક્ટરીએ હતા, એમને ફોન કર્યો કે, ગોરધનભાઈને આમ થયું છે.
એમની સાથે અમારે કોઈ જાતનું વેરઝેર નથી. બે વર્ષથી અમારે એની સાથે કોઈ જાતનો સંબંધ નથી, તો શું કામ મારી સાથે આવું કર્યું? એ મને નથી ખબર. હવે મારે ફ્લેટ ખાલી કરીને જવું પડશે અને અથવા એને ફ્લેટ ખાલી કરીને જવું પડશે.
ઈશા નિલેશભાઈ ડોંડાએ જણાવ્યું કે, દાદા બાદ 5 વાગ્યાની આસપાસ મારા મમ્મીએ લાડવો ખાધો હતો. થોડો ટાઈમ થયો એટલે મમ્મીને ચક્કર આવવા લાગ્યા. તરત જ મારા કઝીન આંટીનો ફોન આવ્યો કે, બાપુજીને આવું થયું છે અને હાર્ટ-એટેકની અસર લાગે છે, તે પડી ગયા છે. એટલે પછી મમ્મીએ કીધું કે, ચક્કર તો મને પણ આવે છે. પછી મને ડાઉટ ગયો, એટલે પછી મેં લાડવા વીખ્યા તો અંદરથી 3-4 ગોળીઓ નીકળી. પછી મેં તરત પપ્પાને કીધું અને પપ્પાએ મને ફોટો મોકલ. મેં ફોટો મોકલ્યો. પછી પપ્પા કહે કે, એને તું મૂકી દે, એમાં ડ્રગ્સ જેવું લાગે છે.
પછી મમ્મીને બહુ ચક્કર આવવા મંડ્યા અને ઉભી નહોતી રહી શકતી નહોંતી. પછી એમ્બ્યુલન્સ બોલાવીને અમે એને કિરણ હોસ્પિટલમાં લઈ ગયા. હવે આપણે કોઈની ઉપર શંકા ન કરી શકીએ. પોલીસવાળાએ હજી અમને કીધું નથી કે કોણે કર્યું છે? કહે છે કે ઇન્વેસ્ટિગેશન ચાલે જ છે. હવે મારું તો કહેવું એમ છે કે, ગમે તેટલા સારા પાડોશી હોય પણ એની ઉપર ભરોસો ન કરાય. આવું બની જાય પછી આપણું આખું મન ઉતરી જાય કોઈ પણ માણસ ઉપરથી.

