રિપોર્ટ@સુરેન્દ્રનગર: પાટડીમાં 21 કરોડના ખર્ચે 385 એકરના તળાવ ફરતે રિવરફ્રન્ટ બનશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગરના પાટડીમાં 21 કરોડના ખર્ચે 385 એકરના તળાવ ફરતે રિવરફ્રન્ટ બનાવા જઈ રહ્યું છે, જેનું કામગીરી થઇ રહી છે. ત્રણ ફેઇઝમાં બનતા 5.5 કિ.મી લાંબા રિવરફ્રન્ટના પ્રથમ ફેઇઝનું કામ 7.61 કરોડના ખર્ચે પૂર્ણ થઇ ગયું છે. જેને આગામી નવમી જાન્યુઆરીએ ખુલ્લો મુકલવામાં આવશે. 'રિવરફ્રન્ટ' અને 'આગવી ઓળખ' પ્રોજેક્ટમાં પાટડીના ઐતિહાસિક ગઢ પર લેસર શો થકી નગરનો પ્રાચીન ઇતિહાસ પણ જોવા મળશે.
પાટડીમાં રૂ. 21 કરોડના ખર્ચે 385 એકરના તળાવ ફરતે રિવરફ્રન્ટની યોજનાને મંજૂરી મળતા નગરજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. આ યોજનામાં પાટડી ગામ તળાવની ફરતે ખોડિયાર માતાના મંદિરથી સાંઇબાબાના મંદિર સુધી 12 મીટર પહોળો અને 4 મીટર ઊંચો પાળો બનાવવામાં આવ્યો છે અને તળાવની પાળ ફરતે 2 મીટર પહોળો પેવર બ્લોકનો ચાલવા માટેનો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તળાવની ફરતે સ્ટ્રીટ લાઇટની સાથે ઝળહળતી રોશનીનું કામ અત્યારે ચાલી રહ્યું છે. આ ઉપરાંત તળાવની પાળ ઉપર પથ્થરનું પીચીંગનું કામ કરવામાં આવ્યુ છે. વધુમાં તળાવ કિનારે આવેલી જૂની ગ્રામ પંચાયત કચેરી પાસે અદ્યતન બગીચો બનાવવામાં આવ્યો છે.
પ્રોજેક્ટમાં પેવર બ્લોકનું પાર્કિંગ, બે શૌચાલય, વૃક્ષો અને લોન ઉગાડવાનું, સર્કલ અને ફુવારો બનાવવાનું તેમજ બાળકો માટે રમતગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. તળાવની પાળ ફરતે અને બગીચામાં સ્ટ્રીટ લાઇટથી નયનરમ્ય નજારો ઊભો કરવામાં આવ્યો છે. જેનાથી પાટડી નગરજનો અને શક્તિમાતાના મંદિરે આવતા લાખો શ્રધ્ધાળુઓ માટે આ રમણીય નજારો આજીવન સંભારણું બન
આ પ્રોજેક્ટ અંગે વાત કરતા પાટડી નગરપાલિકા પૂર્વ પ્રમુખ મૌલેશ પરીખે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પાટડીમાં રૂ. 21 કરોડના રીવરફ્રન્ટના પ્રોજેક્ટમાં પ્રથમ ફેઇઝમાં 2 કિ.મી.ના રીવર ફ્રન્ટ માટે રૂ. 7.61 કરોડ મંજૂર કરાયા હતા. વધુમાં પાટડીમાં સુએજ પ્લાન્ટ યોજના દ્વારા ગંદા પાણીને શુધ્ધ કરીને પાટડીનું આ ઐતિહાસિક ગામ તળાવ ભરવામાં આવશે. જેથી તળાવ બારેમાસ ભરાયેલું રહેશે અને આ તળાવ ફરતે રીવરફ્રન્ટની યોજનાથી પાટડી નગરજનો માટે આ ફરવાલાયક આહલદાયક સ્થળ બની રહેશે.
એમણે વધુ વિગત આપતા જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પાટડી નગરની અંદર 385 એકરમા છવાયેલું મોટું પાટડી નગરપાલિકાની માલિકીનું તળાવ છે. તેનો ઘેરાવો ચાર કિ.મીનો છે. ગુજરાત સરકાર પાસે અમે અહીં રિવરફ્રન્ટ બનાવવા માટેનો રૂ. 20થી 21 કરોડનો એક આખો પ્રોજેક્ટ મુક્યો હતો. એમાં ગુજરાત સરકારે ફેઇઝ-1મા રૂ. 7.61 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરી હતી. જેમાંથી 1600 મીટર સુધી જે ગામને લગત છે એવા એરિયાની અંદર સાઈબાબાના મંદિરથી લઈ કડવા પાટીદાર હોલ થઇ શક્તિમાતાના મંદિર ખોડિયાર માતાના મંદિર સુધી 1600 મીટરમાં પાળો બન્યો છે. એમાં પથ્થર પેચિંગ કરી એની ઉપર ગ્રીલ લગાવવામાં આવી છે.
મૌલેશ પરીખે વધુમાં જણાવ્યું કે, અહીં બ્લોકથી ફૂટપાથ બનાવવામાં આવ્યો છે. એમાં વચ્ચે ઝાડવાઓ રોપવામાં આવ્યા છે. વચ્ચે સ્ટ્રીટ લાઈટો સાથે દરેક લોકોને ફરવા લાયક અને સારુ સ્થળ આકાર લીધું છે. જેનાથી ગામ તળાવ પણ ખુબ ઊંડું થયું છે. જેનાથી તળાવમાં પાણીનો ભરાવો રહેશે. જેનાથી ખેડૂતો, ગ્રામજનો અને પશુઓને પણ આનો અનેક ઘણો લાભ મળશે. પ્રથમ, બીજા અને ત્રીજા ફેઇઝમા મળીને કુલ રૂ. 21 કરોડ ખર્ચ થશે અને એનો પ્રથમ ફેઇઝ હાલમાં પૂર્ણ થયો છે.

