રિપોર્ટ@વલસાડ: વાપીના ડુંગરા વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં 25થી વધુ ભંગારના ગોડાઉનો બળીને ખાખ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાપીના ડુંગરા વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં 25થી વધુ ભંગારના ગોડાઉનો બળીને ખાખ થઈ ગયા છે, જ્યારે બીજી બાજુ ધંધુકાની ડમ્પિંગ સાઈટ પર પણ પ્લાસ્ટિકના કચરામાં મોટી આગ ફાટી નીકળી હતી.
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. ડુંગરી ફળિયા સ્થિત મદીના મસ્જિદ પાસે આવેલા 20થી 25 સ્ક્રેપના ગોડાઉનો આગની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ એટલી વિકરાળ હતી કે, તેની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા કિલોમીટરો દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા. સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્વલનશીલ ભંગારના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ અને ગોડાઉનો ભસ્મીભૂત થઈ ગયા.
સ્થાનિકો દ્વારા તાત્કાલિક વાપી ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર ટીમે આગની ગંભીરતા જોતા મેજર કોલ જાહેર કર્યો હતો. આસપાસના વિસ્તારોમાંથી પણ ફાયર બ્રિગેડની ટીમો મદદ માટે આવી પહોંચી હતી અને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
પ્રાથમિક વિગતો અનુસાર, રાત્રે આશરે 1:30 થી 2:00 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર એક ગોડાઉનમાં આગ લાગી હતી. પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રીને કારણે આગે પલવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ગરમી અડધો કિલોમીટર દૂર સુધી અનુભવાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સાવચેતીના ભાગરૂપે પોલીસે આસપાસનો વિસ્તાર તાત્કાલિક ખાલી કરાવ્યો હતો.
વાપી ફાયર ફાઈટરની ટીમોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી. ડુંગરા પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિતનો કાફલો પણ બચાવ કામગીરીમાં જોડાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનો સ્ક્રેપ બળીને ખાખ થઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું છે.
આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શંકા સેવાઈ રહી છે. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગનું સચોટ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

