રિપોર્ટ@વડોદરા: સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓના રિમાન્ડ પૂરા થતાની સાથે 48 કલાકમાં ચાર્જશીટ રજૂ કરાશે
100 CCTV ફૂટેજ મહત્વના; ગોત્રી હોસ્પિટલમાં ત્રણેય નરાધમોની તબીબી તપાસ કરાઈ, રિમાન્ડ પૂરા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી ગયા છે. નરાધમો નાની બાળકીઓને પણ છોડતા નથી. વડોદરાના ચકચારી સગીરા દુષ્કર્મ કેસના આરોપીઓના રિમાન્ડ પૂરા થતાની સાથે 48 કલાકમાં ચાર્જશીટ રજૂ કરી દેવાની તૈયારીઓ પોલીસ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. આ જધન્ય ઘટનામાં 100 CCTV ફૂટેજ આરોપીઓને ઝડપી પાડવામાં મહત્વના પુરવાર થયા છે. આજે આરોપીઓને ગોત્રી હોસ્પિટલમાં તબીબી ચકાસણી માટે લઇ જવામાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સગીરા દુષ્કર્મ કેસમાં 3 નરાધમો મુન્ના બનજારા, મુમતાજ બનજારા અને શાહરૂખ બનજારા સહિત 5 આરોપીઓને દાખલારૂપ સજા અપાવવા માટે સરકાર દ્વારા વડોદરાના સિનિયર વકીલ શૈલેષ પટેલ અને સુરતના સરકારી વકીલ નયન સુખડવાલાની નિમણૂક કરવામાં આવી છે. બીજી બાજુ આ કેસના મજબૂત પુરાવા એકઠા કરવા માટે કોર્ટે ગુરુવારે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ પોલીસે આરોપીઓને સાથે રાખી તપાસ ઘનિષ્ઠ બનાવી દીધી છે.
આ ઘટનામાં, ઘટના પૂર્વે અને ઘટના બાદના 100 CCTV ફૂટેજ મહત્વના પુરવાર થયા છે. પોલીસ દ્વારા FSL રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જે એક-બે દિવસમાં આવી જાય તેવી શક્યતા છે. ત્યારે, આ બનાવની તપાસ માટે બનાવવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા લગભગ ચાર્જશીટ તૈયાર કરી દેવામાં આવી છે. સીટ દ્વારા આરોપીઓના રિમાન્ડ પૂરા થયાના 48 કલાકમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દેવાની તૈયારીઓ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસ દ્વારા નરાધમો મુમતાઝ ઉર્ફ આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરૂખ કિસ્મતઅલી બનજારા તેમજ સૈફઅલી બનજારા અને અજમલ બનજારાને તા. 14 ઓક્ટોબર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આજે આરોપીઓને તબીબી ચકાસણી માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.