કાર્યવાહી@અમદાવાદ: વૃદ્ધાને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારી દેનાર મહિલા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
![કાર્યવાહી@અમદાવાદ: વૃદ્ધાને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારી દેનાર મહિલાની આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/3d77f77dc1bc4708ab96be98b44d8b00.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ગુનાના કેસ ખુબજ વધી ગયા છે. અમદાવાદના મેઘાણીનગરમાં સંભાળ રાખવા આવતી મહિલાએ વૃદ્ધાને સળગાવી મોતને ઘાટ ઉતારી બંગડી ચોરી હતી. આ કેસમાં વૃદ્ધાએ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, અગાઉ મહિલાના જામીન કોર્ટે ફગાવ્યા હતા. ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરવી યોગ્ય જણાતી નથી. બીજી તરફ કોર્ટે વૃદ્ધાની કમર અને આંખની બિમારીની યોગ્ય સારવાર જેલ ઓથોરિટી કરાવે તેવો પણ આદેશ કરવામાં આવ્યો છે.
મેઘાણીનગરમાં સાર સંભાળ રાખવા આવતા રંજનબા પ્રવીણસિંહ પરમાર (ઉં.વ.70)એ વૃદ્ધાની હત્યા કરી હતી. આ મામલે પોલીસે તપાસ કરી રંજનબાને ઝડપી લઈ જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી રંજનબાએ જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, ઘૂંટણની ગાદી ફાટી ગઈ છે, ડાબી આંખે દેખાતુ નથી, શારિરીક સ્થિતિ પણ નબળી છે, વયોવૃદ્ધ છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું.
જોકે, અરજીનો વિરોધ કરતા સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરે એવી દલીલ કરી હતી કે, 28 સપ્ટેમ્બરના રોજ વૃદ્ધા ઘરે એકલા હાજર હતા. સાંજે પરિવારના સભ્યો ઘરે ગયા ત્યારે વૃદ્ધા સ્ટોર રૂમમાં પડ્યા હતા અને તેમના શરીરમાંથી ધૂમાડા નીકળી રહ્યા હતા. શરીરે દાઝેલા હોવાથી અર્ધબેભાન હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ઈશારાથી વૃદ્ધાએ પોતાના હાથમાંથી બંગડીઓ રંજનાબાએ ચોરી હોવાનું કહ્યું હતું. બાદમાં તેમનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે પાડોશીને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા જોતા આરોપી મહિલા ફૂટેજમાં ઘરમાં જતા-આવતા નજરે પડ્યા હતા અને માતાના ઘરમાં કોઈ વસ્તું ફેંકીને જતા નજરે પડતા હતા. આમ આરોપી સામે પ્રથમદર્શિય ગુનો બને છે, ત્યારે જામીન ન આપવા જોઈએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે મહિલાના જામીન ફગાવી દીધા હતા.