મર્ડર@સુરત: પતિએ પત્નીને બોલાવી છરીથી બંને હાથના કાંડા અને નસો કાપી હત્યા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મર્ડરના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મર્ડરના ગુનાઓ સામે આવતા હોય છે. સુરતમાં પાલ વિસ્તારમાં આવેલી હોટલના એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં 24 વર્ષીય યુવતીની લાશ મળી આવતાં મધરાત્રે પોલીસ દોડતી થઇ હતી. આ યુવતી વ્યવસાયે વકીલ હોવાનું જાણવા મળ્યું છે અને તેની હત્યા તેના જ પતિએ કરી છે. હોટલમાં બોલાવ્યા બાદ પતિએ પત્નીને પતાવી દીધી હતી. પતિએ હત્યામાં એટલી ક્રૂરતા આચરી છે કે છરીથી પત્નીનું પેટ ચીરી નાખ્યું છે, સાથે જ બંને હાથના કાંડા અને નસો પણ કાપી નાખી છે. હત્યા બાદ રૂમમાં લાશ પાસે 24 કલાક બેસી રહ્યો હતો. હોટલના સ્ટાફે દરવાજો ખખડાવતાંની સાથે હત્યારો પતિ દરવાજો ખોલી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, પાલમાં રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી ધ બુલ ગ્રુપ હોટલમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ગત ગુરુવારે (4 જુલાઈ) સાંજના સમયે એક કપલ અહીં આવ્યું હતું. જોકે ગતરોજ (5 જુલાઈને શુક્રવાર) સાંજ સુધી પણ આ રૂમનો દરવાજો નહીં ખૂલતાં હોટલ સ્ટાફને કંઈક અજુગતું થયું હોવાની શંકા ગઈ હતી. હોટલના મેનેજરે ત્યાં હાજર સ્ટાફને કહીને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે તેમાંથી એક યુવક બહાર આવ્યો હતો અને તરત જ ભાગી ગયો હતો.
હોટલના રૂમમાં જઈને અંદર જોયું ત્યારે યુવતીની લોહીલુહાણ હાલતમાં બોડી મળી આવી હતી. યુવતીનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં અને હાથની નશો પણ કપાયેલી હતી. આ ઘટના અંગે જાણ કરાતાં પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, હોટલનું રજિસ્ટર કબજે લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતક યુવતી 24 વર્ષીય હતી અને તેનું નામ નિશી ચૌધરી હતું અને તે વ્યારા વિસ્તારમાં રહેતી હતી. મૃતક વ્યવસાયે એડવોકેટ હતી.
નિશીએ દોઢ વર્ષ પહેલાં જ રોહિત કટકર નામના યુવકની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પત્નીની હત્યા બાદ રોહિત અડાજણ પોલીસ પહોંચ્યો હતો અને ઘટનાક્રમ કહેતાં પોલીસે તેને દબોચીને પાલ પોલીસને સોંપ્યો હતો. પકડાયેલો રોહિત મહારાષ્ટ્રનો રહેવાસી છે. અડાજણ વિસ્તારમાં જ રહેતા આ દંપતી હોટલમાં શા માટે ગયું હતું? એ બાબતે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ હતી. પોલીસે આ બાબતે યુવકની કડક પૂછપરછ શરૂ કરી છે.
હોટલમાં રૂમમાં પહેલા આ દંપતી ગયું હતું, ત્યાર બાદ પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી હતી. 24 કલાક સુધી આ પતિ પત્નીની લાશ સાથે રહ્યો હતો. જ્યારે હોટલના સ્ટાફે દરવાજો ખખડાવ્યો ત્યારે તે દરવાજો ખોલી ત્યાંથી ભાગી ગયો હતો. પત્નીની હત્યા કરવા માટે પતિએ આગોતરું આયોજન કર્યું હોય એવી પણ શંકા સેવાઈ રહી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, નિશી અને રોહિતે દોઢ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બંને વચ્ચે બનતું ન હોવાથી વારંવાર ઝઘડો થતો હતો, જેને લઈને અંતે વાત ડિવોર્સ સુધી પહોંચી હતી. પતિએ પોતાની પત્નીને પાલ વિસ્તારમાં આવેલી એક હોટલમાં બોલાવી હતી અને જ્યાં તેણે તેની હત્યા કરી નાખી હતી